04 September, 2020 01:51 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent
બ્લાસ્ટનો અવાજ ત્રણ કિમી સુધી સંભળાયો હતો
તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે. આ ફેક્ટરી કુટ્ટુમન્નારકોઈલ શહેરમાં છે. ચેન્નાઈથી તે 190 કિમી દૂર છે. જોકે હજી સુધી દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટનો અવાજ આસપાસના ત્રણ કિમી સુધી સંભળાયો હતો. બ્લાસ્ટથી ફેક્ટરીને ઘણું નુકસાન થયું છે અને આખી બિલ્ડિંગ પડી ગઈ છે. મૃત્યુ પામેલા લોકોમાં કારખાનાનો માલિક પણ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા છે. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.