પાકિસ્તાન મોકલી રહ્યું છે ભારતમાં આતંકવાદીઓ : સુશીલકુમાર

22 October, 2012 03:09 AM IST  | 

પાકિસ્તાન મોકલી રહ્યું છે ભારતમાં આતંકવાદીઓ : સુશીલકુમાર



ગઈ કાલે ભારતના હોમ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેએ પત્રકારો સાથે વાત કરતી વખતે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન હકીકતમાં ભારત માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદીઓને મોકલી રહ્યું છે.

સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે ‘અમારી પાસે પાકી માહિતી છે કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરવામાં મદદ કરી રહ્યું છે. અમને ઇન્ટેલિજન્સના ઇનપુટ મળ્યાં છે અને આ કારણે આ મામલામાં અમે વિશેષ સાવધાની રાખી રહ્યા છીએ. હાલમાં જ્યારે આખા દેશમાં તહેવારોની ઉજવણી થઈ રહી છે ત્યારે શાંતિ જળવાઈ રહે એ માટે પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. હું લોકોને પણ થોડી વધારે સાવધાની રાખવાની અપીલ કરું છું. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે ત્યાં સુધી સંપૂર્ણપણે શાંતિ ન સ્થપાઈ જાય ત્યાં સુધી સિક્યૉરિટી ર્ફોસને પાછી બોલાવી લેવાનો તો સવાલ જ ઊભો નથી થતો. જ્યારે હું જમ્મુ અને કાશ્મીર ગયો હતો ત્યારે સ્થાનિકોએ મારી પાસે આર્મીને હટાવી દેવાની ડિમાન્ડ કરી હતી, પણ મેં સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે અત્યારે આર્મીને હટાવાય એવી સ્થિતિ નથી. જ્યારે પરિસ્થિતિ શાંતિપૂર્ણ થઈ જશે ત્યારે આર્મીને હટાવી લેવામાં આવશે.’