27 February, 2019 06:10 PM IST | જમ્મૂ અને કશ્મીર
સર્જિકલ સ્ટ્રાઈકની તમામ જાણકારી
Surgical Strike2ની તાજા અપડેટ્સ:
-પાકિસ્તાનના PMએ કહ્યું- યુદ્ધ શરૂ થશે તો રોકવું મુશ્કેલ થશે
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે આજે એક્શન લીધી છે, અમારો હેતુ માત્ર અમારી તાકાત બતાવવાનો હતો. અમે બેઠક કરી, વાતચીત કરી મામલાનો હલ લાવવો પડશે. ભારતના બે મિગ વિમાનોએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી, અમે તેને તોડી પાડ્યા. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પાસે હથિયાર છે, આ જંગ ક્યાં જશે એ નહીં કહી શકાય. મે પહેલા જ કહ્યું હતું કે જંગ ખતમ કરવું આસાન નથી. અને જો યુદ્ધ શરૂ થયું તો એને રોકવું કોઈના હાથમાં નહીં હોય.
-આજની ઘટના મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા આપી. જેમાં માહિતી આપવામાં આવી કે ઑપરેશન દરમિયાન એક મિગ 21 ક્રેશ થયું છે. જેના પાયલટ ગુમ છે, પાકિસ્તાને દાવો કર્યો છે કે આ પાયલટ તેમની કબજામાં છે. પરંતુ અમે પુરતી જાણકારી આવે તેની રાહ જોઈ રહ્યા છે. સવારે પાકિસ્તાનના વિમાનો આપણી સીમામાં આવ્યા હતા, પરંતુ વાયુસેનાની તૈયારીના કારણે આ હુમલો ખાળી શકાયો.
-થોડી વારમાં ખોલવામાં આવશે તમામ એરપોર્ટ. ફસાયેલા યાત્રિકોને મળશે રાહત.
-ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન લાપતા-સૂત્ર
ભારતીય વાયુસેનાના સૂત્રો અનુસાર માહિતી છે કે પાયલટ વિંગ કમાંડર અભિનંદને બુધવારે સવારે મિગ 21 બાઈસન જેટથી ઉડાન ભરી હતી અને તેઓ હજુ સુધી પાછા ફર્યા છે.
-ગભરાયું પાકિસ્તાન, સેનાએ કહ્યું- અમે યુદ્ધ નથી ઈચ્છતા, વાતચીતથી કાઢો રસ્તો
ભારતની સર્જિકલ સ્ટ્રાઈક 2થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. બુધવારે પણ ભારતે ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનના F16 વિમાનને તોડી પાડવામાં આવ્યું. આ વચ્ચે પાકિસ્તાને ભારતને વાતચીત માટે ટેબલ પર આવવાનું આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેઓ યુદ્ધ નથી ઈચ્છતા.
-દેશના પાંચ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા બાદ દિલ્હી એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે.
-વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે વર્તમાન સ્થિતિની જાણકારી આપી.
-ભારત બાદ પાકિસ્તાને પણ લાહૌર, મુલતાન, ફૈસલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને અંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ કરી.
-ચંડીગઢ, અમૃતસર, પઠાણકોટ, જમ્મૂ, લેહ, શ્રીનગર એરપોર્ટ સામાન્ય નાગરિકો માટે બંધ કરવામાં આવ્યા. માત્ર સેના અને સુરક્ષા દળો જ આ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. જે -તે ફ્લાઈટને ત્યાં જ રોકી દેવામાં આવી છે અને લોકોને સડક માર્ગે પહોંચાડવામાં આવી રહ્યા છે. દેહરાદૂનમાં પણ થોડા સમય માટે એરપોર્ટ ઓપરેશન્સ બંધ કરવામાં આવ્યા.
-ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, RAWના ચીફ, હોમ સેક્રેટરી અને અન્ય અધિકારીઓ હાજર છે.
-પાકિસ્તાનના 3 વિમાનોએ કરી ઘૂસણખોરી
જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતની કાર્રવાઈના એક દિવસ બાદ પાકિસ્તાન ફાઈટર વિમાનોએ બુધવારે સવારે રાજૌરી, પુંછ જિલ્લામાં બોમ્બ ફેંક્યા. PTIના અહેવાલ અનુસાર પાકિસ્તાનના વિમાનોએ નૌશેરા અને પુંછ જિલ્લાના કૃષ્ણાઘાટીમાં ઘૂસણખોરી કરી અને ભારતીય વિસ્તારમાં લેઝર ગાઈડેડ બોમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાના વિમાનો પણ તેનો જવાબ આપવા માટે હવામાં આવ્યા. પરંતુ કાર્રવાઈના તરત બાદ પાકિસ્તાનના ફાઈટર પોતાના વિસ્તારમાં ભાગી ગયા. જો કે સરકારે આ વાતની પુષ્ટિ નથી કરી.
-પાકિસ્તાન વાયુસેનાના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું. આ વિમાન ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું. ન્યૂઝ એજન્સી, ANIએ આ દાવો કર્યો છે. જો કે તેની આધિકારીક પુષ્ટિ નથી થઈ.
-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગૃહમંત્રાલય પહોંચ્યા.