આગામી ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ આપશે ૪ મોટા કેસના ચુકાદા

03 November, 2019 10:57 AM IST  |  નવી દિલ્હી

આગામી ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ આપશે ૪ મોટા કેસના ચુકાદા

સુપ્રીમ કોર્ટ

આવનારા ૧૦ દિવસ ભારત માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ અગત્યના છે. ૪ નવેમ્બરથી આવતા ૧૦ દિવસમાં સુપ્રીમ કોર્ટ ચાર મોટા કેસની સુનવણી કરવાનું છે એમાં જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ અયોધ્યા જમીનવિવાદ સહિત અન્ય કેસ પર સુનાવણી કરશે. આ સિવાય સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ, ચીફ જસ્ટિસ ઑફિસને આરટીઆઇ અંતર્ગત લાવવા અને રાફેલ લડાકુ વિમાનોની ખરીદ-વેચાણમાં સરકારને ક્લીન ચિટ આપવા સંબંધિત કેસ પર પણ સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવશે.
અયોધ્ય કેસ પર ચુકાદો જે ૧૮૫૮થી દેશના સામાજિક-ધાર્મિક બાબતોનું અગત્યનું બિન્દુ રહ્યું અને જેના પર ૧૮૮૫થી કેસ ચાલી રહ્યો છે. આ વિવાદના લાંબા ઇતિહાસમાં એક નવો અધ્યાય નોંધાશે.
ચીફ જસ્ટિસ ગોગોઈ ત્રણ અન્ય બેન્ચોની અધ્યક્ષતા કરી રહ્યા છે જે સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવશે. આ સિવાય રાફેલ સોદામાં સરકારને ક્લીન ચિટ આપવાના નિર્ણય અને સીજેઆઇને આરટીઆઇના દાયરામાં લાવવાની અરજી પર ચુકાદાનો ઇન્તેજાર છે.અયોધ્યા કેસને લઈ અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે પાંચ ન્યાયાધીશોની બેન્ચ એક સર્વસંમત નિર્ણય કેવી રીતે આપશે. આ પ્રકારના મુદ્દા પર જેમાં હિન્દુ અને મુસ્લિમોને વિભાજિત કર્યા, એકમત થવાનું સ્વાગત કરાશે, કારણ કે આ કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતાને દૂર કરશે જે ૪-૧ કે ૩-૨ (૫ જજોની વચ્ચે)ના નિર્ણયના કારણે થઈ શકે છે.
૧૯૩૪માં પણ ક્ષતિગ્રસ્ત કરાયા હતા ગુંબજ
૧૯૩૪માં અયોધ્યામાં એક સાંપ્રદાયિક દંગાએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજોને ક્ષતિગ્રસ્ત કરી દીધા હતા. ત્યાર બાદ શહેરમાં રહેનાર હિન્દુઓ પર દંડથી અંગ્રેજોએ એનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. ૧૯૪૯ની ૨૨ ડિસેમ્બરે અડધી રાત્રે રામલલા મૂર્તિને કેન્દ્રીય ગુંબજમાં રાખ્યા બાદ વિવાદાસ્પદ માળખા પર કેસ ૧૯૫૦માં શરૂ થયો. હિન્દુભકત ગોપાલ સિંહ વિશારદે ૧૯૫૦માં એક કેસ નોંધ્યો જેમાં ગુંબજમાં જ રામલલાની પૂજા કરવાનો અધિકાર માગ્યો.
રામલલ્લાએ પણ કેસ દાખલ કર્યો
નિર્મોહી અખાડાએ રામલલ્લાના જન્મસ્થળ પર પૂજા કરવાના અધિકારોને લઈ ૧૯૫૯માં કેસ દાખલ કર્યો એનાં બે વર્ષ બાદ ૧૯૬૧માં સુન્ની વકફ બોર્ડે પણ કેસ દાખલ કરી દીધો. પછી રામલલા તરફથી ૧૯૮૯માં જન્મભૂમિ પર માલિકી હકનો દાવો કરનાર કેસ હાઈ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશે તેમના નજીકના મિત્ર બનીને દાખલ કર્યો હતો જે મસ્જિદને તોડ્યાનાં ત્રણ વર્ષ પહેલાં કરાયો હતો.
સબરીમાલા મંદિરમાં પ્રવેશનો કેસ
ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે ૬ ફેબ્રુઆરીએ ૬૫ અરજીઓ પર પોતાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો જેમાં કોર્ટના ૨૮ સપ્ટેમ્બરના નિર્ણયની સમીક્ષા કરવાના સંબંધિત ૫૭ અરજી સામેલ છે. કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી હતી એના પર અરજી દાખલ કરાઈ. અરજીકર્તાઓએ તર્ક આપ્યો હતો કે સબરીમાલામાં ભગવાન અયપ્પા એક બ્રહ્મચારી હતા. આથી કોર્ટે ૧૦થી ૫૦ વર્ષની માસિક ધર્મની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધની પરંપરામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
આરટીઆઇ અંતર્ગત સીજેઆઇ ઑફિસ પર પણ ચુકાદો
સીજેઆઇ ઑફિસને આરટીઆઇ અંતર્ગત લાવવાની મંજૂરી આપવા પર ગોગોઈની અધ્યક્ષતાવાળી એક અન્ય પાંચ ન્યાયાધીશોની સંવિધાન બેન્ચે ૪ એપ્રિલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તો ફ્રાન્સમાંથી ૩૬ રાફેલ જેટ લડાકુ વિમાનની ખરીદી સંબંધિત કેસમાં એનડીએ સરકારને ક્લીન ચિટ ગયા વર્ષે અપાઈ, પરંતુ આ નિર્ણયનો ચુકાદો આપતા સમીક્ષા અરજી દાખલ કરાઈ જેના પર સીજેઆઇની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની બેન્ચના નિર્ણયનો ઇન્તેજાર છે.

શ્રીરામની ૨૨૧ મીટર ઊંચી પ્રતિમા સ્થપાશે : યોગી સરકાર ૪૪૦ કરોડ રૂપિયાની જમીન ખરીદશે
મર્યાદા પુરુષોત્તમ કહેવાયેલા ભગવાન રામના નામે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહી હોવાની માહિતી મળી હતી. અગાઉ કરેલી જાહેરાત મુજબ શ્રીરામની ૨૨૧ મીટર ઊંચી પ્રતિમા બનાવવા ઉપરાંત હવે એવી જાહેરાત કરાઈ રહી હતી કે આ વિસ્તારમાં પર્યટન પ્રવાસ વિસ્તાર માટે ૪૪૦ કરોડ રૂપિયાની જમીન ખરીદવામાં આવશે.
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટ ૧૭ નવેમ્બરની આસપાસ આપવાની છે. એ પહેલાં રાજ્ય સરકારે એક બેઠકમાં અયોધ્યાને સુંદર બનાવવા તેમ જ અહીં પ્રવાસ પર્યટન વિકસાવવાના કામની ચર્ચા કરી હતી. એક ડિજિટલ લાઇબ્રેરી, લૅન્ડ સ્કેપિંગ, કાંસાની ભગવાન રામની ૨૨૧ મીટર ઊંચી પ્રતિમાની સ્થાપના, વિશાળ પાર્કિંગ સ્લોટ વગેરે મુદ્દાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
મીરપુર ગામમાં ૪૪૦.૪૬ કરોડના ખર્ચે ૬૧.૩,૮૦૭ હેક્ટર જમીન ખરીદવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે બહાલી આપી દીધી હતી. પર્યટન વિકાસ વિસ્તારના નામે વારાણસી કેન્ટ વિસ્તારને બે ભાગમાં વહેંચી દેવાનો પ્રસ્તાવ પણ આ બેઠકમાં ચર્ચાયો હતો.
રાજ્યના મુખ્ય સચિવ (માહિતી ખાતું ) અવનિશ અવસ્થીએ મીડિયાને કહ્યું હતું કે રામની મૂર્તિની કુલ ઊંચાઈ ૨૨૧ મીટરની હશે જેમાં ૧૫૧ મીટરની મૂર્તિ અને તેની ઉપર ૨૦ મીટરનું છત્ર રહેશે. મૂર્તિના આધાર (પાયા)માટે ૫૦ મીટર જમીન વપરાશે. આમ કુલ ઊંચાઈ ૨૨૧ મીટરની થશે.

કોમી ભાઈચારો, એખલાસ અને શાંતિ જળવાઈ રહે એની તકેદારી રાખજો
દેશભરની તમામ મસ્જિદોમાં શુક્રવારે જુમ્માની નમાઝમાં મુસલમાનોને અપીલ કરવામાં આવી હતી કે અયોધ્યા મામલામાં ભલે જે ચુકાદો આવે, પરંતુ તમામે શાંતિ જાળવી રાખવાની છે. અયોધ્યાના ચુકાદા પર તેઓ ન તો ખુશી મનાવશે કે ન તો દુઃખ વ્યક્ત કરશે અને ન તો કોઈ પણ પ્રકારના પ્રદર્શનમાં ભાગ લેશે. તેમને કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું કે આ મહિનામાં પયગંબર મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો એથી આ મહિનામાં પવિત્રતા અકબંધ રહેવી જોઈએ.
આ માટે પ્રખ્યાત ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીએ મુસ્લિમોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. લખનઉની જામા મસ્જિદ ઈદગાહમાં નમાઝી ખુદાની ઇબાદતમાં મશગૂલ થઈ ગયા હતા, પરંતુ અયોધ્યા મામલાના નિર્ણય મામલે તેઓ તમામ પ્રકારના અંદેશાઓથી ઘેરાઈ ગયા છે. એવામાં ત્યાં હાજર ઇમામે મુસ્લિમોને સમજાવ્યું કે તેઓ પણ આ દેશમાં બરાબરના હકદાર છે અને અયોધ્યા મામલે ચુકાદો આવ્યા બાદ આપણે એક સારા મુસલમાનની ફરજ બજાવવાની છે.
પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફિરંગીમહલીએ કહ્યું કે ‘અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે અમે એનું સમ્માન કરીશું.

delhi supreme court ayodhya verdict