સુપ્રીમ કોર્ટે પણ ગવર્નમેન્ટને જ દોષી ઠરાવી

14 October, 2011 09:45 PM IST  | 

સુપ્રીમ કોર્ટે પણ ગવર્નમેન્ટને જ દોષી ઠરાવી

 

2જી સ્પેક્ટ્રમ કૌભાંડ અટકાવવા સરકારે પૂરતાં પગલાં નહોતાં લીધાં : સર્વોચ્ચ અદાલત

જસ્ટિસ જી. એસ. સિંઘવી અને એચ. એલ. દત્તુની બેન્ચે સ્પેક્ટ્રમ લાઇસન્સની ફાળવણી માટે હરાજીની નીતિ ન અપનાવી ‘પ્રથમ આવો, પ્રથમ મેળવો’ની નીતિ અપનાવવા બદલ સરકારની આકરી ટીકા કરી હતી.

યુનિટેક વાયરલેસ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સંજય ચંદ્રા અને સ્વાન ટેલિકૉમના ડિરેક્ટર વિનોદ ગોએન્કાની જામીનઅરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

પગલાં શા માટે ન લીધાં?

સુપ્રીમ ર્કોટે ગઈ કાલે 2જી સ્પેક્ટ્રમ મામલે સરકારની ઝાટકણી કાઢતાં પ્રશ્ન પૂછ્યો હતો કે વડા પ્રધાન મનમોહન સિંહે ૨૦૦૭માં ત્રીજી નવેમ્બરે તત્કાલીન ટેલિકૉમ પ્રધાન એ. રાજાને પત્ર લખીને 2જી સ્પેક્ટ્રમ લાઇસન્સની ફાળવણી માટે હરાજીની પદ્ધતિ અપનાવવા કહ્યું હોવા છતાં તેમની સલાહની અવગણના કેમ કરવામાં આવી હતી? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો વડા પ્રધાનની સલાહને માનવામાં આવી હોત તો આ કૌભાંડને અટકાવી શકાયું હોત.

બીજેપીએ જવાબ માગ્યો

બીજેપી અને સીપીઆઇ-એમે (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્ક્સિસ્ટ)  સુપ્રીમના અવલોકનની તરફેણ કરીને આ વિશે સરકાર પાસે જવાબ માગ્યો હતો.

કાયદાપ્રધાનનું સ્ટેટમેન્ટ અવિચારી હતું

2જી સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે જુદા-જુદા બિઝનેસમેનની ધરપકડ થઈ રહી હતી ત્યારે કાયદાપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે જો બિઝનેસમેનોની ધરપકડ થશે તો રોકાણોમાં અવરોધ ઊભો થશે. આ બયાન વિશે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી. ગઈ કાલે ઍડિશનલ સૉલિસિટર જનરલ હરેન રાવલે સુપ્રીમ ર્કોટને કહ્યું હતું કે ‘સલમાન ખુરશીદનું આ બયાન અવિચારી હતું. એ કોઈને પ્રભાવિત કરવા માટે આપવામાં આવ્યું નહોતું.’