જો સરકાર લોકોને સવારથી સાંજ સુધી ફ્રી ખાવાનું, ગૅસ અને વીજળી આપતી રહેશે તો લોકો કામ શું કામ કરશે?

20 February, 2026 09:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્યો ખોટમાં છે છતાં મફત યોજનાઓ વહેંચો છો તો આ પૈસા આવે છે ક્યાંથી એવો સવાલ કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે સુપ્રીમ કોર્ટે તામિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કૉર્પોરેશન લિમિટેડની અરજી પર સુનાવણી કરતાં આવું કહ્યું હતું. તેમની અરજીમાં કન્ઝ્યુમર્સની ફાઇનૅન્શિયલ સ્થિતિ કોઈ પણ હોય, બધાને ફ્રી વીજળી આપવાનો પ્રસ્તાવ હતો. આ ફ્રીબીઝ કલ્ચર એટલે કે મફતમાં સુવિધાઓ આપવાના રેવડી કલ્ચર વિશે ચેતવણી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘જો સરકાર લોકોને સવારથી સાંજ સુધી ફ્રી ખાવાનું, ગૅસ અને વીજળી આપતી રહેશે તો લોકો કામ શું કામ કરશે? એમ કરવાથી તો લોકોની કામ કરવાની આદત જ જતી રહેશે. સરકારે લોકોને રોજગાર આપવા પર ફોકસ કરવું જોઈએ. ગરીબોને મદદ કરવાનું સમજી શકાય છે, પરંતુ કોઈ ફરક વિના બધાને મફત સુવિધાઓ આપવાનું યોગ્ય નથી.’

ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કડક વલણ બતાવતાં કહ્યું હતું કે ‘અનેક રાજ્યોના માથે મોટું કરજ છે અને ખોટમાં ચાલે છે એમ છતાં મફત યોજનાઓ વહેંચી રહી છે. આ પૈસા આવે છે ક્યાંથી? ફ્રી યોજનાઓ લાંબા ગાળે અર્થવ્યવસ્થા પર વધુ બોજ નાખશે. મફત વીજળી, રોકડ સહાય અને અન્ય સુવિધાઓ આપવાથી લોકોની નિર્ભરતા વધે છે. સરકારોએ તો રોજગારનું સર્જન કરીને ટકાઉ વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ.’

આવી ફ્રી યોજનાઓથી ટૅક્સ ભરનારાઓ પર ભાર વધી રહ્યો છે એમ જણાવતાં ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘આ યોજનાઓથી ટૅક્સ ભરનારા નાગરિકો પર બોજ આવે છે. ચૂંટણી પહેલાં મોટી અને મફત યોજનાઓની ઘોષણા કેમ કરવામાં આવે છે? શું એનાથી રાજ્યની આર્થિક સ્થિતિ નબળી નથી પડતી?’

supreme court india assembly elections election commission of india national news