ખેડૂતોના આંદોલનનો હજી નિવેડો નથી આવ્યો એ ચિંતાનો વિષય: સુપ્રીમ કોર્ટ

07 January, 2021 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખેડૂતોના આંદોલનનો હજી નિવેડો નથી આવ્યો એ ચિંતાનો વિષય: સુપ્રીમ કોર્ટ

તસવીર: પી.ટી.આઇ

લગભગ સવા મહિનાથી દિલ્હીની સરહદે ચાલતા ખેડૂતોના આંદોલનનો નીવેડો લાવવાની દિશામાં પ્રગતિના અભાવ બાબતે સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. ખેતીને રાજ્યો અને કેન્દ્રના સંયુક્ત વિષયોની યાદીમાં મૂકવાની જોગવાઈ કરતાં વર્ષ ૧૯૫૪ના બંધારણીય સુધારાને પડકારતી એડવોકેટ એમ. એલ. શર્માની અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિના વડપણ હેઠળની બેન્ચે ‘હજી સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી’ એમ કહેતાં ચિંતા દર્શાવી હતી. અદાલતે એ અરજીના અનુસંધાનમાં કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે આ અરજીની સુનાવણી આવતા સોમવાર, ૧૧ જાન્યુઆરી પર મુલતવી રાખીએ છીએ, એ વખતે જો મંત્રણા ચાલુ હશે તો ફરી સુનાવણી મુલતવી રાખીશું.

આજે યોજાશે ટ્રૅક્ટર મોરચો

દિલ્હીની સરહદે ૪૦ દિવસથી ધરણાં કરતા ખેડૂતો સખત ઠંડી અને વરસાદ વચ્ચે અડગ રહીને આંદોલનને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોએ ગઈ કાલે ટ્રૅક્ટરનો મોરચાનું આયોજન કર્યુ હતુ, પરંતુ હવામાન વણસવાની આગાહીને પગલે એ મોરચો ૭ જાન્યુઆરી પર મુલતવી રાખવામાં આવ્યો હતો.

national news