સુપ્રીમ કોર્ટે NEET-JEE પરીક્ષાની રિવ્યુ પિટિશન રદ કરી

04 September, 2020 03:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે NEET-JEE પરીક્ષાની રિવ્યુ પિટિશન રદ કરી

પ્રતીકાત્મક તસવીર

NEET-JEEની પરીક્ષા મુલતવી રાખવાની વિનંતીને સુપ્રીમ કોર્ટે આજે બીજી વખત નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે NEET-JEE પરીક્ષાના મુદ્દે દાખલ કરેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં અરજી જોયા પછી, ન્યાયાધીશોએ તેને ખુલ્લી અદાલતમાં સુનાવણી માટે યોગ્ય નહોતી ગણી. આ વખતે, વિરોધી શાસિત છ રાજ્યોએ કોર્ટને તેના અગાઉના આદેશની સમીક્ષા કરવા અને કોરોનાવાયરસને કારણે પરીક્ષા મુલતવી રાખવા કહ્યું હતું. આ અરજી સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મોલૉય ઘટક, ઝારખંડના રામેશ્વર ઉરાંવ, છત્તીસગઢના અમરજીત ભગત, પંજાબના બલબીર સિદ્ધુ, મહારાષ્ટ્રના ઉદય સામંત અને રાજસ્થાનના રઘુ શર્માએ કરી હતી.

નોંધનીય છે કે, આ પહેલાં ભાજપ શાસિત છ રાજ્યોના મંત્રીઓએ અરજી દાખલ કરી હતી. 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પરીક્ષાને મુલતવી રાખવાની મનાઈ કરી હતી. તેના પર રિવ્યુ પિટિશન કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પહેલી સપ્ટેમ્બરથી JEEની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓની આવી વિનંતીને ફગાવી દીધી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) એ 1 થી 6 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરના રોજ NEET ની વચ્ચે JEE (મુખ્ય) ની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ સમયે દેશમાં જે રીતે કોરોના ફેલાય રહ્યો છે તે જોતા હમણાં પરીક્ષાઓનું આયોજન કરવું તે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

17 ઓગસ્ટે ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચ સમક્ષ આ મુદો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે આ પરીક્ષાઓને રાષ્ટ્રીય સ્તરે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. 

national news supreme court