કૃષિ કાયદા માટે નિયુક્ત પૅનલ બદલવાની ખેડૂતોની માગણી પર SC ખફા

21 January, 2021 02:06 PM IST  |  New Delhi | Agencies

કૃષિ કાયદા માટે નિયુક્ત પૅનલ બદલવાની ખેડૂતોની માગણી પર SC ખફા

તસવીર સૌજન્ય મિડ-ડે

સુપ્રીમ કોર્ટે બુધવારે કૃષિ કાયદા મુદ્દે નિયુક્ત કરેલી પૅનલને બદલવાની ખેડૂતોની માગણીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘તેમના દ્વારા પૅનલની નિમણૂક વાતચીત કરવા માટે જ કરાઈ છે, તેમને નિર્ણય માટેની કોઈ સત્તા આપવામાં આવી નથી તો પછી પક્ષપાત કરાયો હોવાની વાત જ ક્યાં ઉપસ્થિત થાય છે.’
દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાંથી ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની સંભવિત ટ્રૅક્ટર-રૅલીને રોકવાની માગણી કરતી અરજી પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી મુદ્દે જણાવ્યું હતું કે ‘કાયદો અને વ્યવસ્થા પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી મુદ્દે પોલીસે યોગ્ય પગલાં લેવાં જોઈએ. સુપ્રીમ કોર્ટ એમાં કોઈ દખલગીરી નહીં કરે.
ત્રણ કૃષિ કાયદા પર કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા સુપ્રીમ કોર્ટે વાતચીત માટે ચાર સભ્યોની પૅનલની રચના કરી છે. આ પૅનલના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં મળેલી બેન્ચે જણાવ્યું હતું કે તેમણે નીમેલી પૅનલના મહાનુભાવો જજ છે અને તેઓ કોઈ વિષયમાં નિષ્ણાત નથી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પૅલનના ગઠનનો આદેશ આપ્યો હતો, જેમાંથી કેટલાક સભ્યો કૃષિ કાયદાની તરફેણમાં હોવાનું જણાયું હતું. આ મામલે ત્યારે વિવાદ ઊઠ્યો જ્યારે પૅનલના એક સભ્યએ પોતે આ સમિતિમાંથી ખસી જવાનો મત રજૂ કર્યો હતો.
૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર વધુ આદેશ ન અપાય ત્યાં સુધી અમલીકરણ પર સ્ટે લાગુ કરતો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની પૅનલ પણ રચી હતી, જેની પાસે ખેડૂતોને વાતચીત કરવા જવા જણાવાયું હતું. જોકે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણક્ષ પર અડગ છે અને તેમણે પૅનલ પાસે નહીં જવાનું જણાવ્યું હતું.

national news supreme court