03 December, 2020 02:51 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
રજનીકાન્ત (ફાઇલ ફોટો)
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાન્તે આખરે પોતાની રાજનૈતિક પાર્ટીને લઈને જાહેરાત કરી છે. ગુરુવારે રજનીકાન્તે એક ટ્વીટ કરીને જણાવ્યું કે 31 ડિસેમ્બરે પોતાની રાજનૈતિક પાર્ટીની જાહેરાત કરશે. એટલે કે તેમની પાર્ટી જાન્યુઆરીમાં લૉન્ચ થશે.
ન્યૂઝ એજન્સી એએનઆઇએ પણ આ વાતની માહિતી આપી છે.
આ પહેલા સોમવારે રજનીકાન્તે પોતાની પાર્ટી રજની મક્કલ મંદરમ જિલ્લા સચિવો સાથે સાથે મુલાકાત કરી હતી અને કહ્યું કે તે ટૂંક સમયમાં જ પોતાની રાજનૈતિક પાર્ટી શરૂ કરવા વિશે માહિતી આપશે. તેમણે જિલ્લા સચિવો સાથે આ મીટિંગ ત્યારે કરી હતી, જ્યારે તેમના સમર્થકોએ તેમને ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી.
તાજેતરમાં જ તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં રજનીના પોસ્ટર સામે આવ્યા હતા. આમાં તેમને રાજકારણથી દૂર રહેવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. આવું જ એક પોસ્ટર 'વેલ્લોર સિટિઝન્સ વિશિંગ ફૉર એ ચેન્જ'નો સામે આવ્યો હતો.
જો કે, વિચાર-વિમર્શ પછી તેમણે રાજનૈતિક પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. તેમનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે તામિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
રજનીકાન્તની આ પહેલા ઘણીવાર પૉલિટિક્સમાં આવવાની અટકળો લાગી છે. ઘણીવાર તેમના બીજેપીમાં સામેલ થવાની વાતો પણ કહેવામાં આવી છે, પણ રજનીકાન્ત અત્યાર સુધી આ બાબતને લઈને સ્પષ્ટ નહોતા.