09 February, 2026 07:40 AM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent
ચેતનકુમાર
ગાઝિયાબાદમાં આત્મહત્યા કરનાર ૩ બહેનોના પિતા ચેતનકુમાર વિશે ઘણી જાણકારી બહાર આવી રહી છે. તેણે ૩ સગી બહેનો સાથે લગ્ન કર્યાં છે અને એક સમયે તે ઘણો પૈસાદાર હતો, પણ પછી દેવાંના ડુંગર તળે દબાઈ ગયો હતો.
પોતાના જમાઈ ચેતન વિશે બોલતાં સસરા દિલીપકુમારે જણાવ્યું હતું કે ‘એક સમયે ચેતન પાસે સારા પૈસા હતા. તેની પાસે ફૉર્ચ્યુનર કાર હતી. તે વાહનો ખરીદવા માટે લોન આપતો હતો અને જૂનાં મકાનો ખરીદી એમાં રિનોવેશન કરીને વધારે પૈસામાં વેચી દેતો હતો. શરૂઆતમાં તે ખજૂરી વિસ્તારમાં રહેતો હતો. પછીથી તે એકતા પાર્ક પાસે શાલીમાર ગાર્ડનમાં એક ફ્લૅટમાં રહેવા ગયો. એ સમયે તે સારું કમાઈ રહ્યો હતો. તે જમીનની લે-વેચનું કામ પણ કરતો. મને ખબર નથી કે પછી શું થયું. બધું જ સમાપ્ત થઈ ગયું. તેની કાર પણ વેચાઈ ગઈ હતી. સુજાતા મારી મોટી દીકરી છે. અમે તેનાં લગ્ન ૧૭-૧૮ વર્ષ પહેલાં ચેતન સાથે કરાવ્યાં હતાં. સુજાતાને બાળક ન થયાં તેથી અમે હિનાનાં લગ્ન ચેતન સાથે કરાવ્યાં હતાં. આ પછી બેઉને બાળકો થયાં હતાં.’
ત્રણ બહેનો સાથે લગ્ન
સુજાતા અને હિના સાથે લગ્ન કરનારા ચેતનકુમારે પાંચ વર્ષ પહેલાં તેની નાની સાળી ટીના સાથે લગ્ન કર્યાં હતાં. ટીના અને ચેતનને ૩ વર્ષની પુત્રી છે.
ભારત સિટીમાં રહે છે ગર્લફ્રેન્ડ
ચેતન ભારત સિટીમાં બીજો ફ્લૅટ ધરાવે છે, જ્યાં તેની એક મહિલા-મિત્ર રહે છે. ૩ બહેનોની આત્મહત્યાની ઘટના બાદ આ અપાર્ટમેન્ટને હવે તાળું મારી દેવામાં આવ્યું છે.
સાળીનું ફ્લૅટમાંથી પડી જવાથી મૃત્યુ
લગભગ ૬-૭ વર્ષ પહેલાં ચેતન શાલીમાર ગાર્ડનમાં રહેતો હતો ત્યારે તેની સાળી આંચલ નિશિકાના જન્મદિવસની પાર્ટીમાં તેના ઘરે ગઈ હતી. આંચલ બાલ્કનીમાં રેલિંગ પાસે ઊભી હતી અને કપડાં ઉતારી રહી હતી ત્યારે લપસી ગઈ હતી અને તરત જ મૃત્યુ પામી હતી. આ ઘટના પણ એક અકસ્માત ગણવામાં આવ્યો હતો.
લિવ-ઇન પાર્ટનરે કરી હતી આત્મહત્યા
ચેતનકુમારની એક લિવ-ઇન પાર્ટનરનું ૨૦૧૫માં સાહિબાબાદ વિસ્તારમાં રાજેન્દ્રનગર કૉલોનીમાં શુભધામ અપાર્ટમેન્ટની છત પરથી પડીને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસને બંધ કરી દીધો હતો અને મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી.
દીકરો માનસિક રીતે અસ્વસ્થ
ચેતનકુમારનો પહેલી પત્નીથી થયેલો ૧૪ વર્ષનો દીકરો માનસિક રીતે અસ્વસ્થ છે.
મોબાઇલ ફોનની શોધ
ઘટના સમયે છોકરીઓ પાસે મોબાઇલ ફોન નહોતા, કારણ કે તેમના પિતાએ વીજળીનું બિલ ચૂકવવા માટે એને વેચી દીધા હતા. હાલમાં સાઇબર ક્રાઇમ ટીમો ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબરોનો ઉપયોગ કરીને એ ફોન ખરીદનારા ખરીદદારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. એનાથી તેમને કોરિયન ઍપ્લિકેશનો સંબંધિત ડેટા મેળવવામાં મદદ મળી શકે એમ છે. ફૉરેન્સિક ટીમે એમ પણ કહ્યું છે કે તેમની માતાના ફોનમાં કોઈ કોરિયન સામગ્રી કે ઍપ્લિકેશન નહોતી.