શિવસેનાએ સિનિયર પ્રવક્તાઓની છુટ્ટી કરી નાખી

22 November, 2014 04:39 AM IST  | 

શિવસેનાએ સિનિયર પ્રવક્તાઓની છુટ્ટી કરી નાખી

   


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેનાએ એના સંગઠનમાં ધરખમ ફેરફારો કરીને જૂના જોગીઓને પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવી દીધા છે અને પાંચ નવા પ્રવક્તાની નિમણૂક કરી છે. રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉત, સિનિયર-મોસ્ટ નેતા મનોહર જોશી અને જનરલ સેક્રેટરીઓ સુભાષ દેસાઈ તેમ જ શ્વેતા પરુળેકરનો પ્રવક્તા તરીકેનો ભાર હળવો કરીને તેમના સ્થાને પાંચ નવા પ્રવક્તા નિમાયા છે. એમાં સાઉથ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંત, પુણેમાં પુરંધરેની સીટના વિધાનસભ્ય વિજય શિવતરે તેમ જ પાર્ટીના અન્ય નેતાઓમાં ડૉ. મનીષા કાયંદે, અરવિંદ ભોસલે અને મરાઠી ઍક્ટર ડૉ. અમોલ કોલ્હેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યંગસ્ટર્સને તક

શિવસેનાના એક સિનિયર નેતાએ પાર્ટીના સંગઠનમાં આ ફેરફારોને વિરોધી પાર્ટીઓના આક્રમક નેતાઓની સામે બરાબર જવાબ વાળી શકે એવી યંગ જનરેશન તૈયાર કરવાની કવાયતરૂપે ગણાવ્યા હતા. આ નેતાએ કહ્યું હતું કે ‘નવા ચહેરાઓને સંગઠનમાં લાવીને વિરોધી પાર્ટીઓના આક્રમક નેતાઓ સામે જવાબ વાળી શકે એવી યંગ જનરેશનને મોકો આપવામાં આવ્યો છે. હવે ટીવી-ચૅનલોની સંખ્યા વધી ગઈ હોવાથી વધુ ને વધુ પ્રવક્તાઓની જરૂર તો પાર્ટીને હતી જ.’

સિનિયરોની પાંખો નથી કપાઈ


સિનિયર નેતાઓની પ્રવક્તાપદેથી હકાલપટ્ટીની વાતોને નકારતાં આ નેતાએ કહ્યું હતું કે મનોહર જોશી અને સંજય રાઉતને મીડિયા સાથે વાત કરવા માટે પાર્ટીના પ્રવક્તાનો હોદ્દો જરૂરી નથી. શિવસેનાની એક મહિલા નેતાએ કહ્યું હતું કે ‘શ્વેતા પરુળેકર સિવાયના તમામ નેતાઓ સિનિયર હોવાથી તેમને મીડિયા સામે વાત કરવા કોઈ હોદ્દાની જરૂર જ નથી. તેમને ગમે એ મુદ્દે વાત કરવાની સત્તા છે. સંજય રાઉત તો પાર્ટીના મુખપત્ર ‘સામના’ના એડિટર છે અને તેઓ જ પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સૂચના પ્રમાણે સમાચારોની પસંદગી કરે છે. તેઓ અન્ય તમામ પ્રવક્તાના માર્ગદર્શક છે. સુભાષ દેસાઈ પાર્ટીના જનરલ સેક્રેટરી હોવાથી તમામ નેતાઓને જવાબદારી સોંપવાની તેમને સત્તા છે. તેથી તેઓ મીડિયા સામે વાત ન કરી શકે એવું કંઈ નથી.’

બયાનો મોંઘાં પડ્યાં?

જોકે ચર્ચા એવી છે કે જોશીસર અને સંજય રાઉતે ચૂંટણી દરમ્યાન અને તાજેતરમાં કરેલાં કેટલાંક બયાનો તેમને મોંઘાં પડી ગયાં છે. જેમ કે તાજેતરમાં ફ્ઘ્ભ્ના ચીફ શરદ પવારે રાજ્યમાં હાલક-ડોલક સરકાર હોવાનું કહીને મધ્યવર્તી ચૂંટણી માટે પાર્ટીને સજ્જ રહેવાનું કહ્યું એ વિશે સંજય રાઉતે પ્રતિક્રિયા આપી હતી કે શિવસેના ફડણવીસ સરકારને પડવા નહીં દે. એક તરફ પાર્ટીના ચીફ વિરોધ પક્ષની ભૂમિકા માટે નેતાઓને કમર કસવાનું કહી રહ્યા હતા ત્યારે જ રાઉતે BJPની સરકારને અભયદાન આપી દીધું એ કોઈને ગમ્યું નહોતું.

જોશીસરનું હવે શિવસેનામાં અગાઉ જેવું મહત્વ રહ્યું નથી, પરંતુ તેઓ શિવસેના અને BJPની ફેરયુતિની જાણે કે રાહમાં જ છે. તાજેતરમાં બાળ ઠાકરેની બીજી વરસીએ જોશીસરે કહ્યું હતું કે બન્ને પાર્ટી વચ્ચેની જુદાઈ કામચલાઉ છે. જોકે સુભાષ દેસાઈએ ક્યારેય પાર્ટીની લાઇનની બહાર જઈને બયાનબાજી કરી નથી, પરંતુ જો BJP સાથે સત્તામાં ભાગીદારી થશે તો તેમને મિનિસ્ટર બનાવવામાં આવશે એવી ગણતરીથી પાર્ટીએ તેમને પ્રવક્તાપદની જવાબદારીમાંથી મુક્ત કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.