દિલ્હીની AI સમિટમાં શર્ટલેસ વિરોધનો પડઘો ઇન્દોરમાં-કૉન્ગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે અથડામણ

22 February, 2026 10:07 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

પોલીસને દખલગીરી કરવી પડી હતી અને એણે બળનો પ્રયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી

ગઈ કાલે ઇન્દોરમાં કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો વચ્ચેની અથડામણ અટકાવવા પોલીસે બળ વાપરવું પડ્યું હતું.

દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા AI ઇમ્પૅક્ટમાં સમિટમાં યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ શુક્રવારે કરેલા શર્ટલેસ વિરોધના પડઘા ગઈ કાલે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જોવા મળ્યા હતા, જ્યાં કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

આ અથડામણમાં પથ્થરમારો થયો હતો, જેને કારણે પોલીસને દખલગીરી કરવી પડી હતી અને એણે બળનો પ્રયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ મુદ્દે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) કૃષ્ણ લાલચંદાનીએ જણાવ્યું હતું કે ‘વિરોધ દરમ્યાન કૉન્ગ્રેસના કાર્યાલય નજીક બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો થયો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં યોગ્ય પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બૅરિકેડિંગ કરવામાં આવ્યું હતું. અચાનક કેટલીક અફવાઓ ફેલાવવામાં આવી હતી અને કેટલાક પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. બીજી બાજુએ પણ પથ્થરમારો કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. પહેલો પથ્થર કોણે ફેંક્યો એ કહેવું હજી વહેલું છે.’

જામીનઅરજી ફગાવવામાં આવી

શુક્રવારે દિલ્હીમાં શર્ટલેસ વિરોધ-પ્રદર્શન કરનારા યુથ કૉન્ગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે પકડાયેલા ચારેય કાર્યકરોની જામીનઅરજી ફગાવી દીધી હતી અને તેમને પાંચ દિવસ માટે પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા હતા. પકડાયેલા આરોપીઓમાં કૃષ્ણ હરિ, કુંદન યાદવ, અજયકુમાર અને નરસિંહ યાદવનો સમાવેશ છે. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે ‘તેઓ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે. તેમણે ભારત મંડપમ ખાતે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. વિરોધ શાંતિપૂર્ણ હતો, હિંસા દર્શાવતો કોઈ વિડિયો નથી.’  એવી પણ રજૂઆત કરવામાં આવી કે તેઓ પદાધિકારીઓ અને ડિગ્રી ધરાવતી શિક્ષિત વ્યક્તિ છે. 

national news india madhya pradesh indore political news indian politics bhartiya janta party bjp bharatiya janata party congress delhi