જંતરમંતર પહોંચેલાં શીલા દીક્ષિતને લોકોએ પાછા ફરવાની ફરજ પાડી

30 December, 2012 05:37 AM IST  | 

જંતરમંતર પહોંચેલાં શીલા દીક્ષિતને લોકોએ પાછા ફરવાની ફરજ પાડી

ગઈ કાલે બપોરે સવાબે વાગ્યાની આસપાસ દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત શોક વ્યક્ત કરવા માટે જંતરમંતર પર પહોંચ્યાં ત્યારે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. તેમના આગમન સાથે જ લોકોએ ‘શીલા ગો બૅક’ના નારા શરૂ કરી દીધા હતા. આ નારાબાજી એટલી ઉગ્ર થઈ કે થોડી જ વારમાં શીલા દીક્ષિતને પાછા ફરવાની ફરજ પડી હતી. પાછા ફરતાં પહેલાં તેમણે યુવતીની યાદમાં એક મીણબત્તી સળગાવી હતી.

ગઈ કાલે શીલા દીક્ષિતે દેખાવો કરી રહેલા લોકો માટે ઇન્ડિયા ગેટનો રસ્તો ખોલવાની અપીલ પણ કરી હતી. દિલ્હીના ગવર્નર તેજેન્દ્ર ખન્નાએ પણ લોકોને તેમની લાગણી અને આક્રોશ વ્યક્ત કરવા માટે ઇન્ડિયા ગેટ જવાની મંજૂરી આપવાની તરફેણ કરી હતી. દિલ્હી પોલીસે કલમ ૧૪૪ લાગુ કરીને આ વિસ્તારોમાં પાંચથી વધુ લોકોને ભેગા થવાની મનાઈ ફરમાવી દીધી હતી.