24 November, 2014 03:27 AM IST |
આર્થિક હાલત સુધારી દેશમાં ‘અચ્છે દિન’ લાવવા પ્રયાસરત મોદી સરકારે હવે હાલમાં વિવિધ પ્રકારની સબસિડી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાઈ રહ્યું છે. આનો સંકેત આપતાં ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સારીએવી કમાણી કરતા લોકોને સબસિડી આપીને દેશના અર્થતંત્ર પર બોજો નાખવો યોગ્ય નથી. કેટલીક સરકારી યોજનાઓમાં સબસિડી ઘટાડીને કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (કુકિંગ ગૅસ) જેવી યોજનાઓમાં આવકના ધોરણે લાભાન્વિતોની મર્યાદા નક્કી કરીને દેશના અર્થતંત્રને વેગીલું બનાવી શકાય છે.’
દેશમાં ગરીબોનું પ્રમાણ મોટું હોવાથી તમામ સબસિડી રદ કરવી યોગ્ય નથી, પરંતુ સાધનસંપન્ન લોકોને પણ ગરીબોની જેમ સબસિડીનો એકસરખો લાભ મળતો રહે એ બરાબર નથી. આવા પગલાનો વિરોધ પણ થઈ શકે છે એનો અંદાજ છે, પરંતુ આર્થિક સુધારા માટે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશેને?