20 January, 2021 01:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી દિલ્હીની મણિપાલ હોસ્પિટલમાં રસી લઈ રહેલા મેડીકલ વર્કર (તસવીર: પી.ટી.આઈ)
દિલ્હીમાં ગઈ કાલે કોરોના વિરોધી રસીકરણના બીજા દિવસે અપેક્ષિત સંખ્યાની તુલનામાં ૫૦ ટકાથી ઓછા લોકો વૅક્સિનેશન સેન્ટર્સ પર પહોંચ્યા હતા. એ સંજોગોમાં દિલ્હી રાજ્યના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારને વૅક્સિનમાં લોકોનો વિશ્વાસ વધારવાનાં પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. વૅક્સિનેશન ડ્રાઇવના પ્રથમ તબક્કામાં હેલ્થ કૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન-વર્કર્સને રસી આપવાની કાર્યવાહીમાં ટાર્ગેટ ગ્રુપ તરફથી નબળો પ્રતિસાદ મળતો હોવાની ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે.
દિલ્હીના ૮૧ વૅક્સિનેશન સેન્ટર્સ પર રોજ ૮૧૦૦ હેલ્થ કૅર વર્કર્સના વૅક્સિનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. એ સંજોગોમાં કો-વિન ઍપ પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં પહેલા દિવસે ૪૩૧૯ અને બીજા દિવસે ૩૫૯૮ હેલ્થ કૅર વર્કર્સ વૅક્સિન લેવા માટે સેન્ટર્સ પર પહોંચ્યા હતા. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ‘વૅક્સિન જોડે સંબંધિત ટેક્નિકલ વ્યક્તિઓ અને આરોગ્ય મંત્રાલયના અમલદારોએ જનતા સમક્ષ આવીને માહિતી આપવી જોઈએ. આરોગ્ય મંત્રાલયે લોકોના મનમાં ઊભા થતા સવાલોના જવાબો આપવા જોઈએ.’