17 May, 2019 10:44 AM IST | ભોપાલ
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
ભોપાલ
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને લઈને ફરી એક વાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કમલ હાસનના નાથુરામ ગોડસેના સ્ટેટમેન્ટ બાદ હવે મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની સીટ પર લડી રહેલાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાના ગીરેબાનની અંદર ઝાંખીને જુએ, અત્યારની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપી દેવામાં આવશે.’ઉલ્લેખનીય છે કે સાઉથના સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’
અમે સાધ્વીના નિવેદનની નિંદા કરીએ છીએ : બીજેપી
નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે સ્ટેટમેન્ટ આપીને વિવાદમાં આવી ગયેલા ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના સ્ટેટમેન્ટ સાથે બીજેપીએ છેડો ફાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સાધ્વી પ્રજ્ઞાના સ્ટેટમેન્ટને સર્પોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતા નરસિમ્હા રાવે નિવેદન આપ્યું હતું કે ‘નાથુરામ ગોડસેના સાધ્વી પ્રજ્ઞાના નિવેદનનું ભાજપ સમર્થન નથી કરતું. અમે આ સ્ટેટમેન્ટની નિંદા કરીએ છીએ અને પાર્ટી તેમની પાસે આ સ્ટેટમેન્ટ વિશે સ્પક્ટતા માગશે. તેમણે આ નિવેદન પર જાહેરમાં માફી માગતું નિવેદન આપવું પડશે.