શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૌપ્રથમ CEO બન્યા રિટાયર્ડ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રા

03 September, 2026 11:31 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ‍ૅપરેશન સિંદૂરમાં ૩૧૪ કિલોમીટર દૂરના પાકિસ્તાની અૅરક્રાફ્ટને તોડી પાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

જિતેન્દ્ર મિશ્રા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને એના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) મળી ગયા છે. ૬૨ વર્ષના નિવૃત્ત ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની આગામી ૩ વર્ષ માટે આ પદ પર નિમણૂક કરવામાં આવી છે. ૩૯ વર્ષની સર્વિસ પછી જિતેન્દ્ર મિશ્રા આ વર્ષની ૩૦ એપ્રિલે રિટાયર થયા હતા.

જૂન-જુલાઈમાં મંદિરમાં દાનચોરીના મામલે ૮ લોકોની ધરપકડ અને ચંપત રાય તથા અનિલ મિશ્રાની વિદાય બાદ વહીવટ પારદર્શક બનાવવા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના ભૂતપૂર્વ અધિકારી નૃપેન્દ્ર મિશ્રાએ CEOની નિમણૂક કરવાની સલાહ આપી હતી.

CEOના પદ માટે ૫૫૮૫થી વધુ અરજીઓ આવી હતી. એમાંથી ૩ નામ શૉર્ટલિસ્ટ થયાં હતાં. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી, વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવડેની કમિટીએ ઉમેદવારોને હિન્દુ ધર્મ અને રહેણીકરણી વિશે સવાલો પૂછ્યા હતા. ત્યાર બાદ જિતેન્દ્ર મિશ્રા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ટ્રસ્ટમાં ૩ નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અયોધ્યાથી મદન મોહન પાંડેય, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવ સામેલ છે.

national news india ayodhya ram mandir operation sindoor uttar pradesh