ભારતે આપી ટ્વીટરને ચેતવણી, જાણો કેમ...

22 October, 2020 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતે આપી ટ્વીટરને ચેતવણી, જાણો કેમ...

ટ્વીટર

થોડા દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં યુઝર્સ ટ્વીટરથી નારાજ છે. ટ્વિટર પર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો બતાવવામાં આવતા લોકો અચંબામાં પડી ગયા છે. આ બાબતે ડિફેન્સ એનાલિસ્ટ નિતિન ગોખલેએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદને ફરિયાદ પણ કરી હતી. ટ્વીટરે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને ચીનનાં ભાગ રૂપે બતાવ્યા બાદ ભારત દ્વારા સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયનાં સચિવ અજય સાહનીએ આ મામલે ટ્વીટર સીઈઓ જેક ડોર્સીને પત્ર લખ્યો છે. પત્રમાં મંત્રાલયનાં સેક્રેટરીએ ટ્વીટર સીઈઓને સરકારનાં વાંધા વિશે જણાવ્યું છે અને તેના વિશે જાગૃત રહેવા જણાવ્યું છે.

આઈટી સેક્રેટરી અજય સાહનીએ ટ્વિટરનાં સીઈઓ જેક ડોર્સી પર આ મામલે ભારતનાં નકશાની ખોટી રજૂઆત કરવા સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે આવા પ્રયાસોથી ટ્વીટરની નિષ્પક્ષતા અને કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે, તેમજ તેની વિશ્વસનીયતા પણ નીચે આવી જાય છે. 

સાહનીએ પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. ટ્વિટર દ્વારા ભારતીય નાગરિકોની સંવેદનશીલતાને માન આપવું જોઈએ. ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાનો અનાદર કરવાનો ટ્વીટર દ્વારા કરવામાં આવેલ કોઈ પણ પ્રયાસ સ્વીકારી શકાય નહીં.

ટ્વીટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે ભારત સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે પત્રમાં છે તે ચિંતાઓને સમજી અને તેનો આદર કરીએ છીએ. આ અગાઉ ટ્વિટરનાં પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, અમે કેસની સંવેદનશીલતાને સમજીએ છીએ. અમે રવિવારે તકનીકી સમસ્યાથી વાકેફ છીએ. આ સમગ્ર મામલાની તપાસ કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છ કે, ઓક્ટોબર 18 નાં રોજ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર ચીનમાં લેહનાં જિયો ટેગનું સ્થાન બતાવ્યું. રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક નીતિન ગોખલે અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને આ મામલો ઉઠાવ્યો હતો.

national news twitter viral videos