તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડું

03 December, 2020 01:10 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

તમિલનાડુ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડું

ફાઈલ તસવીર

‘નિવાર’ બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક ‘બુરેવી’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ‘બુરેવી’ વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્ચિમ તરફ મુન્નારની ખાડી અને કન્યાકુમારી પહોંચવાની સંભાવના છે. કેરળમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે.

‘બુરેવી’ વાવાઝોડાના પગલે તમિલનાડુમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેરળ, કન્યાકુમારી, તમિલનાડુ અને અલાપ્પાઝામાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

કેરળ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘બુરેવી’ વાવાઝોડું ૨ ડિસેમ્બરની સાંજે કે રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. આ સાથે જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ-ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ-ઉત્તર કેરળ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે.

national news chennai tamil nadu