25 November, 2021 12:32 PM IST | New Delhi | Agency
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી સંજય સિંહ વચ્ચે લખનૌમાં મુલાકાત થઈ હતી.
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીની સાથે બેઠકની વહેંચણી માટે એની વાતચીત શરૂ થઈ છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની સાથે લખનઉમાં મુલાકાત કર્યા બાદ આપના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે આ જાહેરાત કરી હતી. આ પહેલાં પણ આ બે નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ સંભવિત ગઠબંધનની વાત જાહેર નહોતી કરાઈ. આ પહેલાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે સંકેત આપ્યા હતા કે આ બન્ને પાર્ટીની વચ્ચે બેઠકની વહેંચણી માટેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે અને ટૂંક સમયમાં ડીલની જાહેરાત થઈ શકે છે.