25 October, 2020 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમણે પોતે જ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
તેમણે કહ્યું કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો સતર્ક રહે. ગવર્નર આઈસોલેશનમાં જ રહીને પોતાનું કામ ચાલુ રાખશે.
શક્તિકાંત દાસે આ અંગે રવિવારે એક ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું, મારામાં સંક્રમણના કોઈ લક્ષણો નથી. હું હાલમાં સારૂ ફિલ કરી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. હું તેમને સતર્ક કરવા માગુ છું. આઈસોલેશનમાં રહીને હું કામ ચાલુ રાખીશ. રિઝર્વ બેંકનું કામ સારી રીતે ચાલતુ જ રહેશે. અન્ય અધિકારીઓનેા સંપર્કમાં પણ રહીશ.
શક્તિકાંત દાસ ઉપરાંત દેશના કેટલાય નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ચૂંટણી ટાણે જ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તો આ પહેલા પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત સરકારના કેટલાય મંત્રી કોરોના પોઝિટીવ આવ્યા હતા.