20 February, 2025 07:15 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગૌરવ કપૂર અને રણવીર અલાહબાદિયા (ફાઇલ તસ્વીર)
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલાહબાદિયા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ટિપ્પણીને કારણે વિવાદોમાં ફસાઈ ગયો છે. સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ` દરમિયાન રણવીરની માતા-પિતા અને તેમના વચ્ચેના શારીરિક સંબંધોની ટિપ્પણી દેશભરમાં રોષ અને ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે આ વિવાદ બીજા કૉમેડિયન્સ માટે કૉન્ટેન્ટનો વિષય ગયો છે.
પ્રખ્યાત કૉમેડિયન ગૌરવ કપૂરે આ મુદ્દે પોતાનું મંતવ્ય વ્યક્ત કરીને રણવીરની માફી પર તેની ભારે ટીકા કરી છે અને હળવો કટાક્ષ પણ કર્યો છે. ગૌરવનું કહેવું છે કે રણવીરની તાત્કાલિક માફીને કારણે આ મુદ્દો વધુ ગરમાયો છે. લગભગ બપોરે ૧૨ વાગે આ વિવાદની શરૂઆત થઈ હતી અને રણવીરે ૨ વાગ્યે માફી પણ માગી લીધી હતી અને કહ્યું હતું કે "મેં ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ પર જે કહ્યું તે મારે કહેવું જોઈતું ન હતું. મને માફ કરશો. મારી ટિપ્પણી ફક્ત યોગ્ય નહોતી અને તે રમુજી પણ નહોતી. કૉમેડી મારી ખાસિયત નથી, હું અહીં ફક્ત માફી માગવા માટે આવ્યો છું."
ગૌરવ કપૂરે રણવીરની આ માફી મુદ્દે કહ્યું કે "ઈતની જલદી તો મેં અપને પાપા કો સૉરી નહીં બોલતા” (હું મારા પપ્પાની પણ આટલી ઝડપથી માફી માગતો નથી!) રણવીરને માફી માગતા પહેલા સમજીને બોલવાની સલાહ આપતા તેણે કહ્યું, "અબે રુક જા ભૂતની કે, લૉયર કો થોડા પૈસા દે દે. બાત કર લે લૉયર સે, સમજ લે ક્યા બોલના હૈ." (અરે, થોડી વાર રાહ જો! કોઈ વકીલને પૈસા તો આપ. વકીલ સાથે વાત કર, સમજીને બોલ). ગૌરવ કપૂરના આ જૉક્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વ્યૂઅર્સ પણ ગૌરવના સ્ટેન્ડ-અપ પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, “દિલ્લીવાળા આવું નથી બોલતા ભાઈ!” તો બીજાએ કમેન્ટ કરી, “મુશ્કેલીને અવસર માં બદલ્યું ભાઈએ!”
રણવીરની વિવાદાસ્પદ ટિપ્પણીની વાત કરીએ તો તેણે સમય રૈનાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટના કોન્ટેસ્ટન્ટને અભદ્ર સવાલ કરતાં પૂછ્યું હતું કે “શું તમે રોજ તમારા માતા-પિતાને સેક્સ કરતાં જોશો અથવા એકવાર તેમની સાથે જોડાઈને આ ક્રિયાને પૂર્ણપણે અટકાવી દેશો". વાણી સ્વતંત્ર વિષે સતત ચર્ચામાં રહેતા આપણાં દેશમાં આવી ટિપ્પણીનું વાયરલ થવું અને પ્રેક્ષકોનું તેના પ્રત્યે વિરોધ દર્શાવવું એક સ્વાભાવિક વાત છે. સોશિયલ મીડિયા અને સમાચાર મધ્યયમોમાં હંમેશા મત બે તબ્બકામાંજ વિભાજિત થતાં હોય છે. આ મુદ્દે પણ ઘણાએ રણવીરનું સમર્થન કર્યું છે તો ઘણાએ વિરોધ દર્શાવ્યો છે. સમર્થન અને વિરોધ વચ્ચે ગૌરવ કપૂર જેવા હાસ્યકલાકારો રણવીરની ટિપ્પણી પર મજાક પણ બનાવી રહ્યા છે. સમયના આ શો અને રણવીરની પૉડકાસ્ટ સામે કાર્યવાહીની માગણી કરતા રાજકારણીઓ પણ હવે આ ચર્ચામાં કૂદી પડ્યા છે. નેશ્નલ કમિશન ફૉર વિમન (NCW)એ રણવીર અલાહબાદિયા, સમય રૈના અને ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટના નિર્માતાઓને સમન્સ મોકલી ૧૭ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. આસામ પોલીસે રણવીર ,આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વ માખીજા અને સમય રૈના વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે કેસ પણ નોંધ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સુનાવણી થયા બાદ અદાલતે રાજ્યોની સરકારોને રણવીર અને આ શોના નિર્માતાઓ વિરુદ્ધ નવી એફઆઈઆર ન દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ અનુસાર રણવીર કોર્ટના આગલા આદેશ સુધી નવી પૉડકાસ્ટ રિલીઝ કરી શકશે નહીં અને દેશની બહાર પણ જઈ શકશે નહીં. આ વિવાદ હવે કૉમેડી અને મોરાલિટીની (morality) વચ્ચેની રેખા પર એક નવી ચર્ચા ઊભી કરી રહ્યો છે. શું કૉમેડી માટે કોઈ મર્યાદા હોવી જોઈએ? કે પછી આ પ્રકારની ટિપ્પણીઓને ફક્ત મજાક તરીકે જ જોવી જોઈએ? આવા પ્રશ્નો હવે સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે.