રાજસ્થાનમાં બુધવારે થઈ શકે છે બળાબળનાં પારખાં

20 July, 2020 03:46 PM IST  |  Mumbai Desk | Agencies

રાજસ્થાનમાં બુધવારે થઈ શકે છે બળાબળનાં પારખાં

સચિન પાઇલટ, અશોક ગેહલોત

રાજસ્થાનમાં થોડાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે અહેવાલ આવી રહ્યા છે કે રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બહુમત સાબિત કરવા માટે બુધવારે વિધાનસભા સત્ર બોલાવી શકે છે. સૂત્રો મુજબ અશોક ગેહલોતએ શનિવારે સાંજે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથેની મુલાકાત દરમિયાન ૧૦૩ ધારાસભ્યોના સમર્થનનો દાવો રજૂ કર્યો છે. જોકે, રાજભવન તરફથી એને શિષ્ટાચાર મુલાકાત કહેવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં રાજ્યમાં રાજકીય ઊથલપાથલની વચ્ચે આ મુલાકાતને અગત્યની માનવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રાજ્યની હાલના રાજકીય ઘટનાક્રમની જાણકારીથી રાજ્યપાલ કલરાજ મિશ્રને માહિતગાર કર્યા અને સાથોસાથ બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રો મુજબ, બુધવારથી શૉર્ટ ટર્મ પર સત્ર બોલાવી શકાય છે, જ્યાં અશોક ગેહલોત ગૃહમાં બહુમત સિદ્ધ કરી શકે છે. અશોક ગેહલોતે જે ૧૦૩ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે એમાં કૉન્ગ્રેસના ૮૮, બીટીપીના ૨, સીપીએમના ૨, આરએલડીના ૧ અને ૧ અપક્ષ ધારાસભ્ય સામેલ છે.

માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પોતાની સરકાર પર ઘેરાયેલાં સંકટનાં વાદળોને હટાવવા માગે છે. એની સાથે ૧૯ બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાનો પણ રસ્તો સાફ થશે. આ ધારાસભ્યો વિરુદ્ધ કૉન્ગ્રેસના મુખ્ય સચેતક (વ્હિપ) મહેશ જોશીની ફરિયાદ બાદ વિધાનસભાના સ્પીકર સી.પી. જોશીએ અયોગ્યતા નોટિસ જાહેર કરી છે.

rajasthan national news