01 May, 2025 12:27 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
કાનપુરમાં રાહુલને જોઈને રડી પડી શુભમની પત્ની
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે ત્યારે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાની નિંદા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માગણી કરી છે. રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘આ હુમલો ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે. આ ભારતની આત્મા પર હુમલો છે. જે લોકો એના માટે જવાબદાર છે તેમણે એની કિંમત ચૂકવવી જ પડશે. સરકારે સમય બરબાદ ન કરવો જોઈએ. એ સમજવું પડશે કે હિન્દુસ્તાનની સાથે એવું ન કરી શકાય. જે થયું છે એ કોઈ પણ સ્થિતિમાં સ્વીકારી ન શકાય. આ કઠિન સમયમાં આખો વિપક્ષ સરકારની સાથે છે. વિપક્ષ સરકારને સો ટકા સમર્થન આપી રહ્યો છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. કોઈ ઢીલ નહીં, કોઈ મોડું નહીં.’
કાનપુરમાં રાહુલને જોઈને રડી પડી શુભમની પત્ની
રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે બુધવારે મુલાકાત કરી હતી. શુભમની પત્ની એશાન્યા રાહુલને જોઈને રડવા લાગી હતી. રાહુલ ગાંધીએ તેને ગળે લગાડીને સાંત્વન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ શુભમના પરિવાર સાથે મોબાઇલ પર પ્રિયંકા ગાંધી સાથે વાત કરાવી હતી. એશાન્યાએ રાહુલ ગાંધીને જણાવ્યું કે દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ પહલગામમાં કોઈ સિક્યૉરિટી નહોતી.