11 May, 2019 07:56 AM IST | દિલ્હી
રાફેલ વિવાદ મામલે સુપ્રીમ ર્કોટમાં દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ ર્કોટમાં શુક્રવારે સુનાવણી થઈ. શુક્રવારે સુનાવણી સમયે સૌથી પહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પોતાની વાત મૂકી હતી. તેઓએ આરોપ લગાવ્યો કે, સરકાર તરફથી ખોટા દસ્તાવેજ રજૂ કરાયા છે. જેના પર કાર્યવાહી કરવી જરૂરી છે. ર્કોટમાં સુનાવણી વખતે ઉગ્ર દલીલો પણ થઈ.
પ્રશાંત ભૂષણ દ્વારા લગાવેલા આરોપોનો જવાબ એજી કે. કે. વેણુગોપાલ રાવે આપ્યા હતા. લાંબી દલીલો બાદ સુપ્રીમ ર્કોટે રાફેલ પર દાખલ પુનર્વિચાર અરજી અને રાહુલ ગાંધીના અવમાનના મામલે પોતાનો નર્ણિય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ ર્કોટે આદેશ આપ્યો કે, પ્રશાંત ભૂષણે પુનર્વિચાર અરજી પર સરકારની દલીલોનો જવાબ બે અઠવાડિયામાં આપવો પડશે. પ્રશાંત ભૂષણે કહ્યું કે ‘રાફેલ વિમાન સોદા પહેલાં સુરક્ષિત સમિતિની બેઠક ૨૦૧૭માં મળી હતી, એવામાં સોદાને લઈ કોઈ બેઠક થઈ ન હતી, પણ ર્કોટમાં આ બેઠકને લઈને ખોટો દાવો રજૂ કરવામાં આવ્યો હતો.’ સુનાવણી સમયે પ્રશાંત ભૂષણે મૅગેઝિન અને અખબારના થોડા દસ્તાવેજ પણ રજૂ કર્યા, જેના આધાર પર પુનર્વિચાર અરજી દાખલ કરાઈ છે.
તેમણે આરોપ લગાવ્યો કે, સોદાને ફાઈનલ કરવાની નક્કી પ્રક્રિયાની ઘણી જોગવાઈઓને સરકારે પોતાની સુવિધા મુજબ હટાવી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે ડીલની પ્રક્રિયા ચાલી રહી હતી, તો પીએમઓ તરફથી અલગથી ડીલ કરવામાં આવી રહી હતી.
પુનર્વિચાર અરજીની સાથે સુપ્રીમ ર્કોટમાં આજે રાહુલ ગાંધી મામલે પણ સુનાવણી થઈ. મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ ર્કોટમાં અપીલ કરી કે, રાહુલ ગાંધીની માફીને નામંજૂર કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે રાહુલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે પહેલાં જ આ મામલે ખેદ વ્યક્ત કરી ચૂક્યા છીએ.
રાહુલ ગાંધીએ ચૌકીદાર ચોર હૈના નારા સાથે સુપ્રીમ ર્કોટના નામનો ઉપયોગ કર્યો હતો. જેના પર મીનાક્ષી લેખીએ અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધી આ મામલે ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે, પણ ખેદને બ્રેકેટમાં રજૂ કરતાં સુપ્રીમ ર્કોટે તેના પર આપત્તિ દર્શાવી હતી.
આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદ: મધ્યસ્થ સમિતિને ૧૫ ઑગસ્ટ સુધીની સુપ્રીમની મહેતલ
તો રાફેલ મામલે પ્રશાંત ભૂષણના આરોપોનો જવાબ આપતાં એજી કે. કે. વેણુગોપાલે કહ્યું કે પુનર્વિચાર અરજીમાં કાંઈ પણ નવું નથી, ફક્ત ચોરી કરાયેલા કાગળોને જોડવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, જો કોઈએ કાગળ જ ચોરી કર્યા ન હોત તો તે ફોટોસ્ટેટ ક્યાંથી લાવત. તેઓએ તર્ક આપ્યો કે, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ બે સરકાર વચ્ચે ડીલ થઈ હતી.