03 March, 2021 10:52 AM IST | Chandigrah | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગયા વર્ષે પંજાબના અમ્રિતસર, તરનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કૅબિનેટમાં લેવામાં આવેલા એક નિર્ણય મુજબ જો કોઈ વ્યક્તિ નશીલી દવાઓ નાખીને દારૂ વેચશે અને દારૂ પીવાથી કોઈનું મોત થયું તો આવા દોષીઓને ફાંસીની સજા, આજીવન કેદ અને ૨૦ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
સરકારે અમ્રિતસર રેલવે-દુર્ઘટનાના મૃતક પરિવારના સભ્યો અને વારસોને યોગ્યતા પ્રમાણે અલગ-અલગ સંસ્થાઓમાં નોકરી આપવાની મંજૂરી પણ આપી દીધી છે. આ કેસને વિશેષ કેસ ગણાવી નિયમોમાં છૂટછાટ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન-અકસ્માત ૨૦૧૮ની ૧૯ ઑક્ટોબરે અમ્રિતસરના જોઢા ફાટક પર દશેરાના દિવસે બન્યો હતો, જેમાં ૫૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૭૧ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લગતા કાયદા અને નિયમો ૨૦૨૦ની ૨૧ નવેમ્બરના દાયરામાં નહોતા આવતા.
આ પછી અમ્રિતસરના ડેપ્યુટી કમિશનરની દરખાસ્ત પર વિચાર કર્યા પછી મુખ્ય પ્રધાન કચેરીએ નિર્ણય લીધો કે રાજ્યના વિવિધ વિભાગો અને સંસ્થાઓને તેમની યોગ્યતા અનુસાર ૫૮ મૃતકોના ૩૪ પરિવારમાંના એક-એક સભ્યને નોકરી આપવી. મૅક્સ હેલ્થકૅર ગ્રુપની વિનંતીને મંજૂરી આપતાં પંજાબ કૅબિનેટે મોહાલીની ૨૦૦ બેડવાળી મૅક્સ હૉસ્પિટલને આરોગ્ય વિભાગની ૦.૯૨ એકર જમીન આપવા મંજૂરી આપી છે. આ સાથે આ હૉસ્પિટલની ક્ષમતામાં વધુ ૧૦૦ બેડનો સમાવેશ કરી શકાય છે, જે આ ક્ષેત્રમાં આરોગ્ય સુવિધાઓનું વિસ્તરણ કરશે.