30 May, 2025 07:31 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
૧૦ વર્ષના શ્રવણ સિંહ
પંજાબના ફિરોઝપુર જિલ્લાના તારાવલી ગામના ૧૦ વર્ષના શ્રવણ સિંહે દેશભક્તિની અનોખી મિસાલ બેસાડી છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારત-પાકિસ્તાનની સરહદ પર તનાવ હતો ત્યારે શ્રવણ રોજ સૈનિકો માટે ભરગરમીમાં દૂધ, લસ્સી અને ઠંડું પાણી લઈને જતો હતો. સોના સિંહ નામના ખેડૂતનો દીકરો સેનાના જવાનોને જુસ્સો આપવાનું કામ કરતો હતો અને તેમને એકલાપણું મહેસૂસ નહોતો થવા દેતો. શ્રવણના પિતાએ કહ્યું હતું કે ‘ભારતીય સેનાનો એક કાફલો અમારા ખેતરની પાસે જ તહેનાત હતો. જ્યારથી જવાનો આવ્યા એના પહેલા જ દિવસથી શ્રવણ તેમની મદદ કરવા લાગ્યો હતો. અમે પણ તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપ્યું હતું.’
ભારતીય સેનાએ શ્રવણને ઑપરેશન સિંદૂરનો સૌથી નાનો નાગરિક યોદ્ધા જાહેર કર્યો છે. મેજર જનરલ માનરાલે એક સમારોહમાં શ્રવણને સન્માનિત કરીને કહ્યું હતું કે ‘શ્રવણ દેશભક્તિની સાચી મિસાલ છે. આ છોકરાએ જે કામ કર્યું છે એ બતાવે છે કે દેશપ્રેમ જતાવવા માટે કોઈ ઉંમર નથી હોતી.’
શ્રવણ તો પુરસ્કારનો મેડલ અને પસંદીદા આઇસક્રીમ મળવાથી ખૂબ ખુશ થઈ ગયો હતો.