19 June, 2019 09:13 AM IST |
જૈશ કમાન્ડર સજ્જાદ બટ ઠાર
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. સેનાએ એક ઘરમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં અનંતનાગમાં આ બીજી અથડામણ છે. જેમાં સેનાને સફળતા મળી છે. સેનાએ જૈશના બે આતંકવાદી ઠાર માર્યા છે. જ્યારે આ કાર્યવાહી દરમિયાન ભારતનો એક જવાન શહીદ થયો છે.
એક આતંકવાદીની કારનો ઉપયોગ ૧૪ ફેબ્રુઆરીના પુલવામા હુમલામાં થયો હતો. ઘણા સમયથી તેની શોધ-ખોળ ચાલુ હતી. આ ઉપરાંત પુલવામા બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડને પણ ઠાર મારવામાં આવ્યો છે. સુરક્ષાદળનો દાવો છે કે, એ પુલવામા હુમલામાં સંકળાયેલ છેલ્લો આતંકવાદી હતો જેને મારી નાખવામાં આવ્યો છે.
મંગળવાર સવારે અનંતનાગમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળો દ્વારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકવાદી સજ્જાદ બટને ઠાર મારવામાં આવ્યો છે. સજ્જાદ બટની કારનો ઉપયોગ ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં થયો હતો.
આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર
અગાઉ સોમવારે અનતંનાગના અચબલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં લશ્કરના એક મેજર શહીદ થયા હતા જ્યારે એક આતંકવાદીને ઠાર કરાયો હતો. પુલવામામાં વધુ એક વખત આતંકવાદીઓએ વિસ્ફોટક પદાર્થ વડે લશ્કરના પેટ્રોલિંગ દળ પર બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નવ જવાન અને બે નાગરિકો ઘવાયા હતા.