20 October, 2020 02:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે, 20 ઓક્ટરોબરના રોજ સાંજે છ વાગે દેશને નામ સંબોધન કરશે. વડાપ્રધાને ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. સાત મહિનામાં તેઓ સાતમી વખત દેશને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, 'આજે સાંજે છ વાગે રાષ્ટ્રના નામે સંદેશો આપીશ. તમે જરૂર જોડાજો'.
તેમણે અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામાં ટ્વીટ કર્યું છે. તમને જણાવી દઈએ કે, કોરોના કાળમાં તેઓ સાતમી વખત દેશને સંબોધશે.
નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 19 માર્ચે દેશનું સંબોધન કર્યું હતું ત્યારે તેમણે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. ત્યારબાદ બીજું સંબોધન 24 માર્ચે કર્યું હતું. જેમા તેમણે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્રીજીવાર ત્રણ એપ્રિલના રોજ સંબોધન કર્યું હતું ત્યારે દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી. ચોથીવાર 14 એપ્રિલે સંબૌધન કર્યું ત્યારે લૉકડાઉન 2.0ની જાહેરાત કરી હતી. પાંચમી વખત 12 મેના રોજ દેશને નામ સંબોધનમાં 20 લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. છેલ્લે 30 જૂને સંબોધન કર્યું હતું જેમાં અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસનું સંકટ દેશમાં યથાવત છે ત્યારે વડાપ્રધાન લોકોને સતત નિયમોનું પાલન કરવાની અપીલ કરતા આવ્યા છે. વડાપ્રધાન મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે, ‘જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં.’ જોકે, છેલ્લા થોડાક દિવસથી દેશમાં કોરોનાના નવા નોંધાતા કેસોની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે.