01 March, 2021 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કોરોના વાયરસ સામેની જંગ હારવા માટે દેશભરમાં આજથી રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આજે વહેલી સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે દિલ્હી સ્થિત એઈમ્સ હૉસ્પિટલમાં જઈને રસી મુકાવી હતી. આ બાબતની જાણ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મે એઈમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. ‘આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે જ ભારતને કોરોના મુક્ત બનાવે’.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાને જે રસીનો ડોઝ લીધો છે તે ભારત બાયોટેકની કોવેક્સિન છે. આ રસીને ભારત બાયોટેકે ડેવલપ કરી છે. વિપક્ષ દ્વારા આ રસીને મંજૂરી આપવા પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે રસીની ગંભીરતા પર નિશાન સાધવામાં આવ્યું હતુ. એટલું જ નહીં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે રસીને લઈને વિવાદ થયો હતો.