05 July, 2020 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
દેશ અત્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહ્યો છે. એક તરફ કોરોના વાયરસ સતત કહેર વર્તાવી રહ્યો છે તો બીજી બાજુ સરહદ પર સતત સંઘર્ષ વધી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે રવિવારે મહત્વની મુલાકાત થઈ હતી. લદાખ પ્રવાસથી પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાને રાષ્ટ્રપતીને દેશ અને વિદેશના વિવિધ મુદ્દાઓની માહિતી આપી હતી. આ મુલાકાતની શરૂઆત સવારે 11.30 વાગ્યે થઈ હતી અને અને લગભગ 30 મિનિટ સુધી બંને મહાનુભાવો વચ્ચે વાર્તાલાપ ચાલ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું હતું કે, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કોવિંદને દેશ અને વિશ્વનાં વિવિધ મુદ્દાઓ પર માહિતી આપી હતી.
વડાપ્રધાન બે દિવસ પહેલા જ લદ્દાખથી પાછા ફર્યા છે. ત્યાં તેઓ ગલવાન ખીણમાં ઘાયલ સૈનિકોને મળ્યા હતા. તેમજ સરહદની પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું અને પછી સૈનિકોને સંબોધન કર્યું હતું.