05 March, 2019 01:03 PM IST | નવી દિલ્હી
દિલ્હીમાં હાથને મળશે ઝાડૂનો સાથ!
લોકસભા ચૂંટણી 2019 માટે દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. આ મામલે સોમવારે રાત્રે બે વાગ્યા સુધી બેઠકો ચાલી. આ ગઠબંધનનું એલાન આજે ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોના પ્રમાણે, આજે બપોર કે સાંજ સુધીમાં ગઠબંધનની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ગઠબંધન થાય તો દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી 3-3-1ની ફૉર્મ્યૂલા પર લડવામાં આવશે. જાણકારી એ પણ સામે આવી રહી છએ કે આ ફૉર્મ્યૂલા અંતર્ગત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર અને પૂર્વ દિલ્લીથી સાંસદ રહી ચુકેલા સંદીપ દીક્ષિત ચૂંટણી નહીં લડે.
આ માટે કરવું પડી રહ્યું છે ગઠબંધન...
હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી થઈ શક્યું. જો દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય તો AAPને મોટું નુકસાન થઈ શકે છે. સાથે હવે ઘટક દળોનું દબાણ પણ વધી રહ્યું છે.
શીલા દીક્ષિત નથી ઈચ્છતા ગઠબંધન
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શીલા દીક્ષિત પણ ગઠબંધન નથી ઈચ્છતા. શીલા દીક્ષિતે ગયા અઠવાડિયે જ પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે તેઓ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંનેને નિશાન બનાવશે.