27 July, 2026 05:14 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીનશૉટ (તસવીર: X)
બિહારના સિવાનમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન AK-47 સાથે તેમને રોકવાનો પ્રયત્ન કરનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિવાનના પોલીસ અધિક્ષક પૂરણ કુમાર ઝાએ સોમવારે ANI ને આ વાતની પુષ્ટિ કરી હતી. રવિવારે સિવાનમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન હિંસક બનતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થોડા સામે માટે ઘર્ષણ થયું હતું. પથ્થરમારાના અહેવાલો બાદ, પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગૅસના શૅલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા હતા. તેમનો વિરોધ કથિત NEET પેપર લીક વિવાદ પર કેન્દ્રિત હતો.
આ મુદ્દા પર જાહેર કરવામાં આવેલા `બિહાર બંધ` દરમિયાન પટણામાં પણ તણાવ જોવા મળ્યો હતો. પેપર લીક વિવાદ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોની તોડફોડ કરી અને તેને ઉથલાવી દીધા હતા. ત્યારબાદ, અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે સરકાર પર વિદ્યાર્થીઓ પ્રત્યે ‘ખૂની’ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખતા રાહુલ ગાંધીએ કહ્યું, "આખી વ્યવસ્થા વિદ્યાર્થીઓ પ્રત્યે સંપૂર્ણપણે ખૂની બની ગઈ છે. અહેવાલો આવી રહ્યા છે કે બિહારમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર AK-47 થી ગોળીબાર કરવામાં આવ્યો હતો, અને સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે અને FIR હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે." વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કરતા તેમણે કહ્યું, "મોદીજી, તમારા વચનનું શું થયું કે વિદ્યાર્થીઓ સામે કોઈ FIR નોંધવામાં આવશે નહીં અને તેમને છોડી મૂકવામાં આવશે? તેના બદલે, તેઓ જીવલેણ હુમલાઓ અને ક્રૂરતાનો ભોગ બની રહ્યા છે." રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, "દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પૅલેટ ગન અને બિહારમાં AK-47 થી ગોળીબાર કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય કે દિલ્હી, દરેક જગ્યાએ એક સમાન પેટર્ન જોવા મળે છે. મેં પહેલા પણ કહ્યું છે કે આ સરકાર અપ્રમાણિક છે. સાચા સુધારા કરવા તેમની ક્ષમતાની બહાર છે. તેઓ તેમના વચનોથી ફરી જશે અને વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે દરેક શક્ય પદ્ધતિનો ઉપયોગ કરશે." તેમણે વડા પ્રધાન પાસેથી બિનશરતી માફીની માગ કરી અને આ મામલામાં સામેલ સુરક્ષા દળો માટે જવાબદારી નક્કી કરવા પણ હાકલ કરી.