11 August, 2020 05:46 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાહત ઇન્દોરી
કોરોના વાયરસ (COVID-19)એ દેશના જાણીતા શાયર અને ગીતકાર ડૉ. રાહત ઇન્દોરીનો ભોગ લીધો છે. આજે સવારે જ તેમને કોરોના હોવાની માહિતી આપી હતી અને બપોરે તેમનું નિધન થયું છે. ઇન્દોરમાં કોરોના પૉઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હૉસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને પોતે સંક્રમિત થયા હોવાની વાત જણાવી હતી.
રાહત ઇન્દોરીએ ટ્વિટમાં કહ્યું હતું કે, કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઓરબિન્દો હૉસ્પિટલમાં દાખલ છું, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં. એક વધુ અરજ છે, મને કે ઘરના લોકોને ફોન ન કરો. મારી તબિયતના સમાચાર ટ્વિટર અને ફેસબુક પર આપને મળતા રહેશે.
અહેવાલો પ્રમાણે, રાહત ઇન્દોરીના દીકરા સતલજને પહેલા મામલાની પુષ્ટિ કરી. ત્યારબાદ રાહત ઇન્દોરીએ જાતે જ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી. ઇન્દોરની કોવિડ સ્પેશલ હૉસ્પિટલ ઓરબિન્દોમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતાં. મીડિયા રિપોર્ટ મુજબ, સતલજે કહ્યું કે હાલમાં ખતરાની કોઈ વાત નથી. રાહત ઇન્દોરી સ્વસ્થ છે. પરંતુ સાંજ સુધીમાં ખરાબ સમાચાર આવશે તેવી કોઈને આશા જ નહોતી.
નોંધનીય છે કે, રાહત ઇન્દોરી જાણીતા શાયર હોવાની સાથોસાથ સારા ગીતકાર પણ હતાં. તેમણે બૉલીવુડ માટે પણ અનેક લોકપ્રિય ગીતો લખ્યો છે. તેઓ સામાજિક તથા રાજકીય મુદ્દાઓ પર પોતાનો બેબાક મત આપવા માટે પણ જાણીતા હતાં. 'ચોરી ચોરી જબ નઝરે મિલી', 'નિંદ ચુરાયી મેરી કિસને ઓ સનમ', 'છન છન', 'બુમરો' જેવા સુપરહિટ ગીતો તેમણે લખ્યા છે. તેમને ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.