19 January, 2021 02:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: એએનઆઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના વધુ બે મહત્ત્વના પ્રોજેકટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ફેઝ-૨ના મેટ્રોના કામનું ખાતમુરત થયું, જે મોટેરાથી ગાંધીનગરને જોડશે. આ પ્રસંગે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભારતના ગૃહપ્રધાન અમિત શાહ, ભારતના કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) ડૉ. હરદીપ સિંહ પુરી, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતાં જણાવ્યું કે ‘અમદાવાદ અને સુરત બન્ને ગુજરાત અને ભારતનાં આત્મનિર્ભરતાને સશ્ક્ત કરતાં શહેરો છે. અમદાવાદ બાદ સુરત બીજું એવું શહેર છે જે મેટ્રોથી જોડાશે.’