પશ્ચિમ બંગાળમાં વિક્ટોરિયા મેમોરિયલ હૉલમાં પરાક્રમ સમારોહનું ઉદ્ઘાટન

24 January, 2021 12:20 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળમાં વિક્ટોરિયા મેમોરિયલ હૉલમાં પરાક્રમ સમારોહનું ઉદ્ઘાટન

ગઈ કાલે કલકત્તાના વિક્ટોરીયા મેમોરિયલમાં પુસ્તક વિમોચન દરમ્યાન વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાનમમતા બેનરજી (તસવીર: પી.ટી.આઈ)

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતી નિમિત્તે આયોજિત અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી કલકત્તા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ વિક્ટોરિયા મેમોરિયલ હૉલમાં પરાક્રમ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન મોદીએ કલકત્તામાં નેતાજી ભવનની મુલાકાત લીધી હતી અને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પીએમ મોદીએ કલકત્તામાં નૅશનલ લાઇબ્રેરીની મુલાકાત લઈને તેઓએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શીશ ઝુકાવી નમન કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદી કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલ પણ પહોંચ્યા હતા.વડા પ્રધાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘આજે નેતાજી જીવતા હોત તો જોત કે ભારત કોરોના સામે સ્વયં લડીને સફળ થઈ રહ્યું છે. જાતે વૅક્સિન બનાવી રહ્યું છે. અન્ય દેશોમાં વૅક્સિન મોકલીને પણ મદદ કરી રહ્યું છે એ જોઈને તેમને કેટલો આનંદ થયો હોત. લાલ કિલ્લા પર નેતાજીએ ધ્વજ ફરકાવવાનું જે સ્વપ્ન જોયું હતું એ સપનાને અમે પૂર્ણ કર્યું. મોદીએ કહ્યું હતું કે મિત્રો, આજે બાળક સુભાષને નેતાજી બનાવનારી બંગાળની આ પુણ્ય ભૂમિને પણ આદરપૂર્વક નમન કરું છું. આ એ જ પવિત્ર ભૂમિ છે, જેણે દેશને તેનું રાષ્ટ્રગીત પણ આપ્યું છે. હાવડા-કાલકા મેલનું નામ પણ નેતાજી એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. દેશે એ પણ નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે નેતાજીની જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે મનાવીશું.

લોકોએ નારેબાજી કરતાં મમતા બૅનરજીએ ભાષણ આપવાનો ઇનકાર કર્યો

વિક્ટોરિયા મેમોરિયલમાં મમતા બૅનરજીમાં ગુસ્સો જોવા મળ્યો હતો. તેઓએ અહીં ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો. મમતા સંબોધન કરવા માટે મંચ પર પહોંચ્યાં ત્યાં જ લોકો દ્વારા નારેબાજી શરૂ કરી દેવામાં આવી હતી અને મમતાએ કહ્યું હતું કે કોઈનું અપમાન કરવું યોગ્ય નથી.

દેશમાં ૪ રાજધાની હોવી જોઈએ, દિલ્હીમાં બધા આઉટસાઇડર છે: મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ નવી માગણી કરીને કહ્યું છે કે દેશમાં એક નહીં, પણ ચાર રાજધાની હોવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે દિલ્હી જ એકમાત્ર રાજધાની કેમ છે, કલકત્તા પણ દેશની રાજધાની હોવી જોઈએ. દેશમાં ચાર સ્થળોએ ચાર રાજધાની બનવી જોઈએ. દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ કે બીજા કોઈ રાજ્યમાં, પૂર્વમાં બિહાર-ઓરિસ્સા કે બંગાળમાં અને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પણ એક રાજધાની બનવી જોઈએ. દિલ્હીમાં બધા આઉટસાઇડર છે. સંસદનું સત્ર દેશના તમામ હિસ્સાઓમાં યોજાવું જોઈએ.

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે મમતા બૅનરજીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે નેતાજીના વશંજ સુગત બસુ પણ હાજર રહ્યા હતા. મમતા બૅનરજીએ આઠ કિલોમીટર લાંબી માર્ચ કરી હતી અને એમાં હજારો લોકો જોડાયા હતા.

national news narendra modi mamata banerjee