08 July, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રિયા શ્રીનેત(સૌજન્ય મિડડે)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દેશોના પ્રવાસે છે. આ પ્રવાસના પહેલા તબક્કામાં તેઓ સૌથી પહેલા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. મંગળવારે જકાર્તામાં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની જૂની અને મજબૂત મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. પોતાની વાત દરમિયાન તેમણે નંબર ગણિત એટલે કે અંક સાથે જોડાયેલી એક વાત પણ કરી હતી. પીએમ મોદીએ 8 નંબરનો સંબંધ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોના જન્મદિવસ અને ભારતના ગણતંત્ર દિવસ સાથે જોડ્યો હતો. પીએમ મોદીની આ વાત સાંભળીને ત્યાં હાજર લોકો સ્મિત કરવા લાગ્યા હતા. જોકે, પીએમ મોદીના આ નંબર ગણિત પર કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સવાલ ઉઠાવ્યા છે. તેમણે IQ (બુદ્ધિમત્તા) સંબંધિત ટિપ્પણી કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે "છતાં પણ આ વ્યક્તિ નેહરુ બનવા માંગે છે."
સુપ્રિયા શ્રીનેતે પોતાના ‘X’ એકાઉન્ટ પર પીએમ મોદીના સંબોધનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું કે, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરેખર આ વાત કહી હતી" ભારતે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો. 2+6 = 8 થાય છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો જન્મદિવસ 17 તારીખે છે. 1+7 = 8 થાય છે. તેમણે આગળ લખ્યું કે, "આટલા IQ સાથે પણ આ વ્યક્તિ નેહરુ બનવા માંગે છે!"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જકાર્તામાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે ગયા વર્ષે ભારતે ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું કે 26 એટલે કે 2 અને 6, અને 2+6 કરવાથી 8 થાય છે. વડાપ્રધાને આ અંકોનો ઉલ્લેખ કરતાં જ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે મારા મિત્ર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાંતોનો જન્મદિવસ પણ 17 તારીખે આવે છે.અહીં પણ 1+7 કરવાથી 8 થાય છે. પીએમ મોદીએ જે રીતે 8 નંબરનો ઉલ્લેખ કર્યો, તેના પર કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પ્રતિક્રિયા આપી હતી.
સુપ્રિયા શ્રીનેતે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે પીએમ મોદીએ જે રીતે 8 નંબરનો ઉલ્લેખ કર્યો હતો અને તેને ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) તથા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની જન્મ તારીખ (17) સાથે જોડ્યો હતો, તેના પર તેમણે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રિયા શ્રીનેતે આ વાતને પીએમ મોદીના IQ (બુદ્ધિ સ્તર) સાથે જોડીને ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું, "આટલા IQ સાથે પણ આ વ્યક્તિ નેહરુ બનવા માગે છે!"