29 May, 2020 03:26 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
(ફાઇલ ફોટો)
કોરોના વાયરસ સંકટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખાસ બેઠક થઈ રહી છે. 7 લોક કલ્યાણ માર્ગમાં બન્નેની બેઠક ચાલું છે. જાણકારોનું માનવું છે કે આ બેઠક લૉકડાઉનને આગળ વધારવાની ચર્ચા માટે થઈ રહી છે. જણાવવાનું કે 31મેના લૉકડાઉન 4.0 ખતમ થઈ રહ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા ગુરૂવારે લૉકડાઉ ફાઇવને લઈને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે રાજ્યોની સ્થિતિ અને લૉકડાઉનને લઈને તેમની રાય જાણી હતી. લૉકડાઉન 4.0 પૂરું થવાના ફક્ત ત્રણ દિવસ પહેલા ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. આ પહેલી વાર થઈ રહ્યું છે જ્યારે ગૃહમંત્રીએ લૉકડાઉનનું વધુ એક ચરણ પૂરું થતાં પહેલા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તેમના મત જાણ્યા હોય.
કોરોનાવાયરસને ફેલાતા અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સૌથી પહેલા 25 માર્ચના લાગૂ પાડવામાં આવ્યું હતું અને આને ત્રણ વાર લંબાવવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, "ગૃહમંત્રીએ બધા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી અને લૉકડાઉનને 31 મે પછી પણ વધારવા અંગે તેમના વિચાર જાણ્યા."
મુખ્યમંત્રીઓ સાથે પોતાની વાતચીત દરમિયાન અમિત શાહે રાજ્યોના ચિંતાજનક સ્થિતિવાળા ક્ષેત્રો નિશે તેમના વિચારનો તાગ મેળવ્યો અને એક જૂન પછી કયા ક્ષેત્રો ખોલવા માગે છે, આ વિશે પણ તેમની રાય લીધી. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધી દરેક ચરણમાં લૉકડાઉ વધારતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફ્રેન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તેમના મત જાણતા હતા. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની બધી કૉન્ફ્રેન્સ દરમિયાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે હાલ મુખ્યમંત્રીઓના મતનો ખ્યાલ મેળવી શકાયો નથી પણ એ સમજાયું છે કે તેમાંથી મોટાભાગના લૉકડાઉન ચાલું રાખવા માગે છે. સાથે જ તેઓ આર્થિક ગતિવિધિઓને ગતિ આપવા માટે જન-જીવનને સામાન્ય બનાવવાના પક્ષમાં પણ છે. શક્ય છે કે આગામી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકાર લૉકડાઉન પર પોતાના નિર્ણયની જાહેરાત કરી દેશે.