પટનામાં દશેરાની ઉજવણીમાં માતમ: નાસભાગમાં ૩૨નાં મોત, ૨૬ ઘાયલ

04 October, 2014 04:02 AM IST  | 

પટનામાં દશેરાની ઉજવણીમાં માતમ: નાસભાગમાં ૩૨નાં મોત, ૨૬ ઘાયલ

દુર્ઘટના : પટનાના હાર્દસમા વિસ્તારમાં ગાંધી મેદાન ખાતે રાવણદહનની ઘટના પછી થયેલી નાસભાગને પગલે ૩૨ જણ ચગદાઈ મર્યા અને ૨૬ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ પછી નાસતા-ભાગતા લોકોનાં બૂટ-ચંપલ વગેરે વેરવિખેર પડ્યાં હતાં.

રામલીલાના સમાપન વેળા રાવણવધનો પ્રસંગ પૂરો થતી વેળા બનેલા આ કરુણ બનાવમાં મરનારાઓમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતાં. આ દુર્ઘટનામાં ૩૨ જણનાં મૃત્યુ થયાં હોવાનું બિહારના ગૃહસચિવ અમીર સુભાનીએ જણાવ્યું હતું.પટનાના ગાંધી મેદાનમાં રામલીલાના સમાપન વેળા હજારોની મેદની સમક્ષ ૬૦ ફૂટ ઊંચા રાવણના પૂતળાને તીર મારવામાં આવ્યું ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી હાજર હતા. આ દુર્ઘટના બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન જિતન રામ માંઝી સાથે વાત કરીને મરનારાઓના નજીકના સગાને કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી  હતી.

મરનારાઓમાં ૨૦ મહિલાઓ અને પાંચથી છ બાળકો હોવાનું અને ૨૬ ઘાયલ વ્યક્તિ હૉસ્પિટલમાં સારવાર લેતી હોવાનું પટનાના કલેક્ટર મનીષકુમાર વર્માએ જણાવ્યું હતું. શહેરના હાર્દસમા વિસ્તારમાં ગાંધી મેદાન નજીકના એક્ઝિબિશન રોડ પર આ ઘટના બની હતી. ઈલેક્ટ્રિકનો વાયર મેદાનમાં પડ્યો હોવાની અફવા ફેલાતાં કેટલાક લોકોએ આગળ જવા માટે ધક્કામુક્કી કરવા માંડતાં રાવણવધ બાદ પાછા વળતા લોકો સાથે ટકરાવાને કારણે ધમાચકડી મચી હતી. ઘટના પછી લગભગ પાંચસો મીટરના વિસ્તારમાં  લોકોનાં ચંપલ-બૂટ વગેરે પથરાયેલાં જોવા મળતાં હતાં. પાલીસે એ વિસ્તારને કૉર્ડન કરીને ત્યાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.નવી દિલ્હીથી મળતા સંદેશ મુજબ કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ આ બનાવને કમનસીબીભર્યો ગણાવતાં દુખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.