12 October, 2020 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર
સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ, બૉલીવુડમાં ડ્રગ્સ કેસ વગેરે પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલો TRP માટે જાતજાતાના ગતકડા કરી રહી છે. ટીવી જગતમાં TRP ગોટાળાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે સોશ્યલ મીડિયામાં Parle-G બનાવતી કંપનીએ લીધેલા એક નિર્ણયની ખૂબ ચર્ચા થઇ રહી છે. પારલેએ આજે એડવર્ટાઇઝિંગ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. જેની સોશ્યલ મીડિયા પર વાહ-વાહ થઈ રહી છે.
હાલમાં ટીવી જગતમાં TRP ગોટાળાની ગૂંજ છે અને તેની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ કૌભાંડનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યા બાદ હવે કંપનીઓ એડવર્ટાઇઝિ આપવા મામલે કેટલીક ચેનલને લઈને સતર્ક થઈ ગઈ છે. વિજ્ઞાપન આપતી કંપનીઓમાં તે વાતને લઈને માથાકૂટ કરવામાં આવી રહી છે કે, આવા ચેનલના વિજ્ઞાપનમાં કાપ મૂકવામાં આવે. કેટલીક કંપનીએ નિર્ણય લઈ લીધો છે કે તે એવી ચેનલને વિજ્ઞાપન નહીં આપે જે નફરતને પ્રોત્સાહન આપે છે. થોડા દિવસ પહેલા જ બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે ત્રણ ચેનલને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. હવે પારલે પણ કહી રહ્યું છે કે, તે અમુક ચેનલમાં પોતાના ખર્ચને ઓછા કરવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણયની સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે અને ટ્વિટરમાં પારલે ટ્રેન્ડ કરી રહ્યું છે.
પારલે-જી બિસ્કીટના સિનીયર હેડ કૃશ્નારાવ બુદ્ધે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ઝેરીલું કન્ટેન્ટ પ્રસારિત કરતી ચેનલને વિજ્ઞાપન આપવામાં આવશે નહીં. તેમણે સ્વીકાર્યું કે અન્ય વિજ્ઞાપનદાતા સાથે પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
સોશ્યલ મીડિયા પર પારલે પ્રોડક્ટ્સ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને ખૂબ વધાવવામાં આવી રહ્યો છે. લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ હવે ચેનલો આવા કન્ટેન્ટ બંધ કરશે. ઘણા બધા લોકો આ નિર્ણય બાદ વિવિધ મિમ બનાવી રહ્યા છે અને પારલેનો આભાર માની રહ્યા છે.
અભિનેત્રિ સ્વરા ભાસ્કરે પણ પારલેજીના નિર્ણયને વધાવ્યો છે.
આ નિર્ણય બાદ લોકો પારલેને દેશનું ગૌરવ ગણાવી રહ્યાં છે.