15 May, 2020 12:34 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
સેનામાં શામેલ થઈને દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવતા સામાન્ય નાગરિકો મટે હવે સારા સમાચાર છે. બહુ જલ્દી હવે સમાન્ય નાગરિકો ભારતીય સેનામાં ત્રણ વર્ષે માટે શામેલ થઈ શકશે. એએનઆઈએ આપેલી માહિતિ મુજબ, આ બાબતે સેના 'ટૂર ઓફ ડયુટી'ના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
'ટૂર ઓફ ડયુટી'ના પ્રસ્તાવ અંતર્ગત પસદગી પામનારા ઉમેદવારોએ ત્રણ વર્ષ સુધી સેનામાં સર્વિસ કરવી પડશે. આ બાબતે હજી વધુ માહિતિ મળી નથી. જ્યારે બીજી બાજુ સેના હવે અર્ધસૈનિક દળો એટલે કે પેરામિલેટ્રીના જવાનોને પોતાની સાથે કામ કરવાની તક આપવા પર વિચાર કરી રહી છે. સેનાના પ્રવક્તાઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ યોજના અંતર્ગત સેના દેશના પ્રતિભાશાળી યુવાઓને આકર્ષિત કરવા માંગે છે. યોજનાના માધ્યમથી સેનામાં હવે એવા યુવાનો પણ જોડાઈ શકશે જે પહેલા કોઈ કારણસર જોડાઈ શક્યા નહોતા. ભારતીય સેનામાં અત્યારે સારા અધિકારીઓની બહુ અછત છે અને આ યોજના અંતર્ગત અછત પુરી થશે એવી સેનાને આશા છે.
અત્યારે શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) દ્વારા સૌથી ઓછામાં ઓછા દસ વર્ષ માટે યુવાનોને સેનામાં જોડાવવાની તક આપવામાં આવે છે. આ પહેલા એસએસસી દ્વારા સેનામાં જોડાતા યુવાઓનો કાર્યકાળ પાચ વર્ષનો હતો જેને પછીથી દસ વર્ષ કરી દેવામાં આવ્યો છે.
સુત્રોએ આપેલી માહિતિ મુજબ, ભારતીય સેના 'ઈનવર્સ ઈંડક્શન મોડલ' નામના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે. તે અંતર્ગત કેન્દ્રિય અર્ધસૈનિક બળોના જવાનોને થોડાક સમય માટે સેનામાં કામ કરવાની તક આપવામાં આવશે.