27 February, 2021 11:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વર્તમાન કોવિડ-19 માર્ગદર્શિકા ૩૧ માર્ચ સુધી કાયમ રહેશે એમ ગૃહ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે કોવિડ-19ના નવા અને અૅક્ટિવ કેસમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે એમ છતાં આ મહામારીમાંથી સંપૂર્ણપણે બહાર આવવા માટે સતત દેખરેખ, નિયંત્રણ અને સાવધાની રાખવી આવશ્યક છે.
રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોને કોરોના વાઇરસના પ્રસારની ચેઇન તોડીને મહામારી દૂર કરવા માટે લક્ષિત વસ્તીને રસી આપવાની પ્રક્રિયા વેગીલી બનાવવાની સલાહ આપવામાં આવી છે.
એ જ રીતે કન્ટેનમેન્ટ ઝોનમાં નિર્દિષ્ટ પગલાંનું સખતાઈથી પાલન કરવામાં આવે છે. કોવિડનો પ્રસાર રોકવા આવશ્યક પગલાં લેવા તથા મંજૂર કરાયેલી પ્રવૃત્તિઓ સંબંધે એસઓપીના પાલન માટે પણ કાળજી રાખવામાં આવે છે. આમ કોવિડ-19ને રોકવા ૨૭ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુલક્ષીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દેખરેખ, કન્ટેનમેન્ટ અને સખતાઈથી એસઓપીના પાલન પર ધ્યાન આપવામાં આવે છે. આ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો છે, જે મુજબ કોવિડ-19ની વર્તમાન માર્ગદર્શિકા ૩૧ માર્ચ સુધી કાયમ રહેશે.