26 September, 2022 09:30 AM IST | Fatehabad | Gujarati Mid-day Correspondent
હરિયાણાના ફતેહબાદમાં ગઈ કાલે ભૂતપૂર્વ ડેપ્યુટી પીએમ દેવીલાલની ૧૦૯મી જન્મજયંતીના પ્રસંગે આયોજિત રૅલીમાં ઇન્ડિયન નૅશનલ લોકદળના અધ્યક્ષ ઓ. પી. ચૌટાલા, એનસીપીના વડા શરદ પવાર અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સહિતના વિપક્ષના અગ્રણી નેતાઓ.
હરિયાણાના ફતેહબાદમાં ગઈ કાલે આયોજિત ઇન્ડિયન નૅશનલ લોકદળની વિશાળ રૅલીમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી તેમ જ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ સહિત વિપક્ષના ટોચના નેતાઓ એકત્ર થયા હતા.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ તેમ જ શિવસેનાના અરવિંદ સાવંત પણ આ રૅલીમાં હાજર હતા.
શરદ પવારે અહીં કહ્યું હતું કે ‘૨૦૨૪માં કેન્દ્રમાં સરકાર બદલાય એ સુનિશ્ચિત કરવા દરેક જણ કામ કરે એ માટેનો સમય આવી ગયો છે. સરકાર બદલવાથી જ ખેડૂતોની સમસ્યાઓનો ખરો ઉકેલ આવશે.’
દરમ્યાન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ગઈ કાલે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી આ મીટિંગ વિપક્ષોમાં એકતા લાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાઈ છે. મીટિંગ બાદ લાલુ પ્રસાદે કહ્યું હતું કે ‘સોનિયા ગાંધીએ અમને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી પછી આપણે ફરી મળીશું.’