22 December, 2012 09:21 AM IST |
નીતીશકુમારને મોદીના રાજકીય હરીફ માનવામાં આવે છે. તેમણે અગાઉ એકથી વધારે વખત મોદીનું નામ લીધા વિના તેમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાનો વિરોધ કર્યો હતો. એનડીએમાં મોદીને વડા પ્રધાનપદના દાવેદાર બનાવવામાં નીતીશને સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે.
એનડીએમાં બીજેપીના સાથીપક્ષ જેડીયુના સિનિયર નેતા એવા નીતીશકુમાર કાલે પટનામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા ત્યારે પત્રકારોએ મોદીની જીત બદલ તેમની પ્રતિક્રિયા માગી હતી, જેના જવાબમાં નીતિશે ‘આ વિશે હું તમને પછી જણાવીશ’ માત્ર એટલું જ બોલીને જતા રહ્યા હતા. નીતિશના મૌન વિશે જ્યારે બિહાર બીજેપીના પ્રમુખ સી. પી. ઠાકુરને પૂછવામાં આવતાં તેમણે આર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જાહેર જીવનમાં જેને અત્યંત જરૂરી માનવામાં આવે છે એ સામાન્ય સૌજન્ય પણ તેમણે દાખવ્યું નહીં. મોદીને કેમ અભિનંદન આપ્યાં નહીં એની સ્પષ્ટતા નીતીશકુમારે કરવી જ જોઈએ.’ ઠાકુરે અગાઉ એકથી વધારે વખત મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી ચૂક્યા છે.
એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ, જેડીયુ = જનતા દળ યુનાઇટેડ