09 January, 2021 02:42 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
સરકાર સાથે ખેડૂતોની ૯મા તબક્કાની વાતચીત પણ પરિણામ વગર જ પૂર્ણ થઈ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી બેઠક ૧૫ જાન્યુઆરીએ મળશે. ગઈ કાલની વાતચીત માત્ર બે કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે આંદોલનકારી નેતાઓ કૃષિ કાયદાનો કોઈ યોગ્ય વિકલ્પ આપી ન શકતાં મીટિંગ અનિર્ણીત રહી હતી. વળી આ કાયદાને સમગ્ર દેશના ખેડૂતોએ આવકાર આપ્યો હોવાથી એને પાછો ખેંચવાનો સવાલ જ નથી.
આંદોલનના ૪૪મા દિવસે સરકાર અને ખેડૂતો વચ્ચે વિજ્ઞાનભવનમાં વાતચીત થઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ સામે ખેડૂતોએ કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી હતી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ બાબા લક્ખા સિંહને જણાવ્યું કે સરકાર હવે એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે, જેમાં રાજ્ય સરકારને કૃષિ કાયદો લાગુ કરવા અથવા ન કરવાની છૂટ આપવામાં આવશે.