30 July, 2021 09:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી: કોરોના વાઇરસની નવી લહેરના દેશભરમાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે નિયંત્રણોમાંથી થોડીઘણી છૂટછાટ મેળવનાર શહેરોમાં લોકો કોવિડ-19ની ગંભીરતાને અવગણીને ઠેકઠેકાણે ગિરદી કરવા લાગ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના અને માસ્ક પહેરી રાખવાના કેન્દ્ર સરકારના નિયમોનું તેઓ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ગઈ કાલે મથુરા જિલ્લામાં વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તોએ ભારે ધસારો કર્યો હતો. કેટલાકે તો બાળકોને પણ જોખમમાં મૂક્યાં હતાં. (તસવીરઃ પી.ટી.આઇ.)
નવી દિલ્હી : કોરોનાના કેસની વધતી સંખ્યાને કારણે કેરલા સરકારની ચિંતા વધી ગઈ છે. સરકારે રાજ્યમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ૩૧ જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. પાછલા ૨૦ દિવસમાં સૌથી વધારે કેસ ૨૪ કલાકમાં સામે આવ્યા છે.
દેશભરના કુલ કેસમાં ૫૦ ટકા કેસ કેરલામાં છે. કોરોનાની બીજી લહેરનો સંપૂર્ણપણે અંત નથી આવ્યો. કેરલા, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. દેશમાં ૮૦ ટકા કેસ આ
ત્રણ રાજ્યોના છે. બીજી લહેર પીક પર પહોંચી પછી કેરલામાં કેસ ઘટવા લાગ્યા હતા. દરરોજના ચાર લાખ કેસ ઘટીને ૨ લાખ સુધી પહોંચવામાં ૨૬ દિવસનો સમય લાગ્યો હતો. ૨ લાખ કેસથી ૧ લાખ સુધી આવવામાં ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. એક લાખ કેસથી ૫૦ હજાર કેસ સુધી આવવામાં ૨૦ દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ પાછલા ૩૧ દિવસથી નવા કેસ ૩૦-૪૦ હજારની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. કેરલામાં ૬૬ ટકા વસ્તી કોરોના સંક્રમિત છે.
મહેસાણા : મોબાઇલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના હાલ એક સામે આવી છે. પૅન્ટમાં કે ખિસ્સામાં અથવા તો મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે એમાં બ્લાસ્ટના કિસ્સા અનેક સાંભળ્યા હશે, પરંતુ મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મોબાઇલને ચાર્જિંગમાં મૂકીને ફોન પર વાતો કરતી વખતે બ્લાસ્ટ થતાં એક કિશોરીનું મોત થયાનો ચોંકાવનારો અને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે બુધવારે ૧૭ વર્ષની શ્રદ્ધા દેસાઈ નામની ટીનેજર મોબાઇલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. આ દરમિયાન મોબાઇલ કોઈક કારણોસર ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી હતી.
ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલી શ્રદ્ધા દેસાઈ ધડાકા પહેલાં જે રૂમમાં વાત કરી રહી હતી એમાં ઘાસ ભર્યું હોવાથી એ પણ સળગી ગયું હતું. ત્યાર બાદ પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવામાં આવી હતી.
હૈદરાબાદ: ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન ‘કોવૅક્સિન’ની ક્લિનિકલ ટ્રાયલ રદ કરવા અને તાકીદના ઉપયોગને મંજૂરી આપવાનું રદ કર્યા બાદ બ્રાઝિલે હવે કોવૅક્સિનના ૪૦ લાખ ડોઝ આયાત કરવાના પોતાના નિર્ણયને પણ રદ કર્યો છે.
બ્રાઝિલની નૅશનલ હેલ્થ સર્વેલન્સ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ભારત બાયોટેકે સાઉથ અમેરિકા સરકારને એના બ્રાઝિલિયન પાર્ટનર સાથેના કરાર સમાપ્ત થયા હોવાની જાણ કર્યા બાદ એના કૉલેજિયેટ બોર્ડ અન્વિસાએ કોવૅક્સિનની આયાત અને વિતરણના એના અસામાન્ય અને હંગામી કરારને રદ કરવાનો નિર્ણય લીધો હતો.
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી (લાઇન ઑફ કન્ટ્રોલ) નજીક ગઈ કાલે થયેલા લૅન્ડમાઇન વિસ્ફોટમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ડિફેન્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એલઓસી નજીક આવેલા કિષ્ણા ઘાટી સેક્ટરમાં સિપાઈ મુકેશ કુમારે અકસ્માતે લૅન્ડમાઇન પર પગ મૂકતાં વિસ્ફોટ થતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. મુકેશ કુમારને તત્કાળ ઉધમપુરની કમાન્ડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ: ગુજરાત એટીએસને ગઈ કાલે એક સૌથી મોટી સફળતા હાથ લાગી હતી. કુલ ૨૫૦૦ કરોડ રૂપિયાની કિંમતના હેરોઇનના જથ્થાનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો છે. ગુજરાત એટીએસએ આ હેરોઇન કેસના (નાર્કો ટેરરિઝમના) મુખ્ય આરોપી શાહીદ કાસમ સુમરાની ધરપકડ કરી લીધી છે. શાહીદ કાસમ સુમરા દુબઈથી આવ્યા બાદ દિલ્હી ઍરપોર્ટ ઊતરતાં જ ગુજરાત એટીએસે ઝડપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આરોપી શાહીદ કાસમ સુમરા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરતો હતો. આ ૩૫ વર્ષનો આરોપી મૂળ તો કચ્છના માંડવીનો રહેવાસી છે.
વૉશિંગ્ટન: અમેરિકાના અલાસ્કાને રિક્ટર સ્કેલ પર ૮.૨ની તીવ્રતાના ધરતીકંપે ઘમરોળતાં સત્તાધીશોને રાજ્યના અન્ય વિસ્તારો માટે સુનામીની ચેતવણી આપવા પ્રેરિત કર્યા હોવાનું અમેરિકી જિયોલૉજિકલ સર્વેએ જણાવ્યું હતું. બુધવારે વહેલી સવારે ૧૦.૧૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું જણાવતાં યુએસજીએસએ ઉમેર્યું હતું કે ધરતીકંપના આંચકા ૪૬.૭ કિલોમીટરે નોંધાયા હતા.
તસવીરો: એ.એફ.પી.
નૅશનલ ગૅલેરી ઑફ ઑસ્ટ્રેલિયા અંદાજે ૨૨ કરોડ રૂપિયાની કિંમતની વિવાદાસ્પદ આર્ટ ડીલર સુભાષ કપૂર પાસેથી મેળવેલી ૧૪ જેટલી ભારતની ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક કલાકૃતિઓ ભારતને પાછી આપશે જેમાં ગુજરાતી સમાજના શાસ્ત્રીજી અમતૃરામ કરૂણાશંકરના પરિવારનું પોટ્રેઇટ, ૧૨મી સદીની માઉન્ટ આબુની જૈન ધર્મની વિખ્યાત મૂર્તિઓ તથા કલાકૃતિઓ તેમ જ શ્રીનાથજીના મંદિરની બહાર ઉભેલા દાતા અને મુખ્યાજીના ૅમનોરથ’ પોટ્રેઇટ તેમજ અન્ય પેઇન્ટિંગનો પણ સમાવેશ થાય છે. ૧૪ પૈકી છ કલાકૃતિઓ વષોર઼્ પહેલાં ચોરીથી અથવા ગેરકાનૂની રીતે ઑસ્ટ્રેલિયા પહોંચાડાઈ હતી.