13 May, 2022 08:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
મથુરા : અલાહાબાદ હાઈ કોર્ટે ગઈ કાલે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના મામલે એક મહત્ત્વનો આદેશ આપ્યો હતો. અલાહાબાદ હાઈ કોર્ટે ચાર મહિનામાં તમામ અરજીઓનું નિવારણ કરવાનો મથુરા કોર્ટને આદેશ આપ્યો છે. હાઈ કોર્ટે સુન્ની વકફ બોર્ડ અને અન્ય પક્ષકારો સુનાવણીમાં સામેલ ન થતાં એકપક્ષીય આદેશ જારી કરવાનો પણ આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષકારોની અરજી પર હાઈ કોર્ટે આ આદેશ આપ્યો હતો. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર મથુરાની સેશન કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે ૧૯ મે સુધી પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. લખનઉમાં રહેતાં રંજના અગ્નિહોત્રીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિની ૧૩.૩૭ એકર જમીનની માલિકીની માગણીને લઈને અરજી કરી છે, જેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માગણી કરવામાં આવી છે.
નવી દિલ્હી : ભારતે ગઈ કાલે સુખોઈ-૩૦ ફાઇટર ઍરક્રાફ્ટમાંથી બ્રહ્મોસ મિસાઇલના લાંબી રેન્જ ધરાવતા વેરિઅન્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું. બંગાળની ખાડીમાં આ મિસાઇલ સીધી જ ટાર્ગેટ પર ત્રાટકી હતી. ઍરફોર્સે જણાવ્યું હતું કે ‘બ્રહ્મોસના લાંબી રેન્જના વર્ઝનનું આ પહેલું લૉન્ચ હતું. આ સાથે જ ઇન્ડિયન ઍરફોર્સે દરિયામાં કે જમીન પર લાંબા અંતરે રહેલા ટાર્ગેટ પર સુખોઈ-૩૦એમકેઆઇમાંથી ચોકસાઈથી ત્રાટકવાની ક્ષમતા હાંસલ કરી છે.’
નવી દિલ્હી : ચૂંટણી કમિશનર રાજીવ કુમારની ગઈ કાલે નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચન્દ્રાનું સ્થાન મેળવશે. ચન્દ્રા ૧૪મી મેએ પોતાનું પદ છોડશે અને ૧૫મી મેએ રાજીવ કુમાર આ પદ સંભાળશે. કાયદા મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
૧૯૬૦માં જન્મેલા કુમાર ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આ પદ પર રહેશે. ટૂંક સમયમાં યોજાનારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સિવાય ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અને અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તેમના નિરીક્ષણ હેઠળ યોજાશે. કુમાર બિહાર-ઝારખંડ કેડરના ૧૯૮૪ બેચના આઇએએસ ઑફિસર છે. કુમારની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તેઓ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ હતા.
લખનઉ : ઉત્તર પ્રદેશમાં તમામ મદરેસાઓમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રાર એસ. એન. પાંડેએ આ સંબંધે જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓને આદેશ જારી કર્યો હતો. રમઝાનની રજાઓમાંથી ગઈ કાલથી જ મદરેસાઓમાં રેગ્યુલર ક્લાસિસની શરૂઆત થઈ હતી અને આ આદેશ ગઈ કાલથી જ અમલમાં મુકાયો હતો. ક્લાસની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીત ગાવાનો આદેશ છે.
વૉશિંગ્ટન : ગૂગલે જાહેર કર્યું છે કે ગૂગલ ટ્રાન્સલેટ હવે વધુ ૨૪ ભાષાઓને સપોર્ટ કરે છે, જેમાં સંસ્કૃત, ભોજપુરી અને ડોગરી જેવી કેટલીક ભારતીય ભાષાઓ પણ સામેલ છે. આ ટેક જાયન્ટનું ટ્રાન્સલેશન ટૂલ હવે દુનિયાભરમાં ઉપયોગમાં લેવામાં આવતી કુલ ૧૩૩ જેટલી ભાષાઓને સપોર્ટ કરે છે. સમાવેશ કરવામાં આવેલી આ નવી ભાષાઓ ૩૦ કરોડ લોકો દ્વારા બોલાય છે.
કોલંબો : શ્રીલંકામાં આર્થિક અને રાજકીય કટોકટીના કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. આવા માહોલમાં વિપક્ષ નેતા રાનિલ વિક્રમાસિંઘેએ ગઈ કાલે શ્રીલંકાના ૨૬મા વડા પ્રધાનના પદે શપથગ્રહણ કર્યા હતા. નોંધપાત્ર છે કે હિંસક વિરોધ-પ્રદર્શનના કારણે મહિન્દા રાજપક્સેને વડા પ્રધાનના પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સેના મોટા ભાઈ અને વડા પ્રધાન મહિન્દાએ રાજીનામું આપ્યું ત્યારથી આ દેશમાં કોઈ સરકાર નહોતી. નોંધપાત્ર વાત એ છે કે વિક્રમાસિંઘેની પાસે ૨૨૫ સભ્યોની સંસદમાં માત્ર એક બેઠક છે.