24 November, 2021 12:06 PM IST | New Delhi | Agency
સુપ્રીમ કૉર્ટ
અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા મંગળવારે ઉત્તર પ્રદેશના ૩૯૬ ધારાસભ્યોના સર્વેની વિગતો જાહેર કરાઈ હતી. આ રિપોર્ટમાં અપાયેલી વિગતો પ્રમાણે ૩૫ ટકા (૧૪૦) ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલા છે, જ્યારે ર૭ ટકા ધારાસભ્યો કોઈને કોઈ ગુના સાથે સંકળાયેલા છે. ૪૦૩ બેઠકો ધરાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બીજેપીના ૩૦૪માંથી ૭૭ ધારાસભ્યો, સમાજવાદી પક્ષના ૪૯માંથી ૧૮ ધારાસભ્યો અને બહુજન સમાજવાદી પાર્ટીના બે અને કૉન્ગ્રેસના એક ધારાસભ્ય સામે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કેસ દાખલ કરવામાં આવેલા છે. કુલ ૯૫ ધારાસભ્યો ૧ર ધોરણથી ઓછું શિક્ષણ ધરાવે છે. ચાર ધારાસભ્યને માત્ર અક્ષરજ્ઞાન છે.
કેરલા હાઈ કોર્ટે કોવિડ વૅક્સિન મુકાવનાર લોકોને મળનારા વૅક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાન મોદીનો ફોટો લગાવવા સામે કરેલી અરજીનો સ્વીકાર કર્યો છે. તેમ જ આ મામલે રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને એમનો જવાબ માગ્યો છે. અરજીકર્તાએ કહ્યું હતું કે વૅક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાનનો ફોટો એના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે. આ પ્રકારના સર્ટિફિકેટ બનાવવા માટે એને વડા પ્રધાનના ફોટો વગરનું એક કોવિડ સર્ટિફિકેટ આપવામાં આવે. અરજીકર્તાનો મુખ્ય આરોપ હતો કે વૅક્સિનૅશન સર્ટિફિકેટ એની અંગત વાત છે, એમાં એના કેટલાક અધિકાર છે.
રેલવે દ્વારા ગઈ કાલે ભારત ગૌરવ સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ખાનગી ઑપરેટરો ૧૫૦ જેટલી ટ્રેનોના સંચાલન માટે અરજી આપી શકે છે. આ ટ્રેનોના રૂટ, ભાડાની કિંમત, સર્વિસની ક્વૉલિટી વગેરે બાબતો નક્કી કરવાની સત્તા ઑપરેટરને આપવામાં આવશે. કોઈ પણ ટ્રસ્ટ, સંસ્થા કે રાજ્ય સરકાર પણ આ માટે અરજી કરી શકે છે. ખાનગી ઑપરેટરો થીમ આધારિત આ ટ્રેનોને સ્પેશ્યલ સર્કિટમાં સંચાલિત કરી શકશે. થીમ આધારિત ટ્રેન સર્વિસોમાં ગુરુકૃપા ટ્રેન ગુરુનાનક સાથે સંકળાયેલાં સ્થળો પર જશે, જ્યારે રામાયણ ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલાં સ્થળો પર જશે. આ ટ્રેનો પ્રવાસીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનો પરિચય કરાવશે. ઑપરેટરોને બેથી દસ વર્ષ સુધી સર્વિસ સોંપી શકાશે.
એઇમ્સના ડૉક્ટરોએ દિલ્હીમાં ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝના બે દરદીઓમાં એસ્પરગિલસ લેંટુલસ હોવાનો સ્વીકાર કર્યો છે. બન્નેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ફંગસ ફેફસાંને સંક્રમિત કરે છે. જેના કારણે મરણાંકનો દર ઘણો ઊંચો છે. વિદેશમાં પણ આ વેરિઅન્ટના ઘણા કેસ આવ્યા છે. ભારતમાં આ સ્ટ્રેઇનનો આ પહેલો કેસ છે. મરનારમાં એકની ઉંમર ૫૦ વર્ષ તો બીજાની ૪૦ હતી. સારવાર છતાં સંક્રમણ ન ઘટતાં પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી એમને એઇમ્સમાં લવાયા હતા. મહિના સુધી સારવાર છતાં એમની હાલતમાં સુધારો થયો નહોતો. કોરોનાની બીજી લહેર વખતે બ્લૅક ફંગસના ઘણા કેસ આવ્યા હતા.
કૉન્ગ્રેસના નેતા કીર્તિ આઝાદ અને જનતા દળ (યુ)માંથી બરતરફ નેતા પવન વર્મા ગઈ કાલે દિલ્હીમાં મમતા બૅનરજીની હાજરીમાં તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા હતા. આ સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને બિહારના રાજકારણમાં એન્ટ્રી કરી છે. આ પગલું નોંધપાત્ર છે, કેમ કે મમતા બૅનરજી આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને પડકારવા માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા ઇચ્છે છે. બિહારની દરભંગા બેઠક પરથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીતનારા કીર્તિ આઝાદે બૅનરજીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આઝાદે કહ્યું હતું કે ‘આજે દેશને એક એવી વ્યક્તિની જરૂર છે કે જે સમગ્ર દેશને નવી દિશા આપી શકે. મમતા બૅનરજીએ પુરવાર કર્યું છે કે તેઓ એમ કરી શકે છે.’
ત્રણ કૃષિ કાયદાઓની વાપસીની ઘોષણા બાદ હવે એના પર ચર્ચા માટે સંસદના આગામી સત્રમાં તારીખ નક્કી કરાશે. કેન્દ્રીય કોલસાપ્રધાન પ્રહલાદ જોશીએ ગઈ કાલે કહ્યું હતું કે આગામી શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે કૃષિ મંત્રાલય તારીખો પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય પ્રધાનમંડળ આજે કૃષિ કાયદાઓ પાછા લેવાના નિર્ણયને મંજૂરી માટે વિચાર કરી શકે છે.
સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના સવાલ પર જોશીએ કહ્યું હતું કે ‘કૃષિ મંત્રાલય આ મામલે વિચાર કરી રહ્યું છે તેમ જ તારીખો નક્કી કરશે. હવે તે સંસદમાં આવશે ત્યારે અમે એને પાછા લેવાનો વિચાર કરીશું.’