12 April, 2021 12:28 PM IST | Mumbai | Agency
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન
રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહત્યાગ કર્યો છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુ રાત્રે ૨.૩૦ વાગ્યે બ્રહ્મલીન થયા છે. આજે સવારે ૯.૩૦ વાગ્યા સુધી ભારતી બાપુના બ્રહ્મલીન દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
બાપુના બ્રહ્મલીન થતાં તેમને સમાધિ જૂનાગઢ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વૅક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વૅક્સિન લીધી હતી. બાપુએ આ વૅક્સિન લઈને તમામ વડીલો અને પાત્ર લોકોને વૅક્સિન લેવા માટે આહવાન કર્યું હતું.
મ્યાનમારના સુરક્ષા દળોએ સૈન્ય તખતા પલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી જેમાં ૮૦થી વધારે પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે રાઇફલ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ૮૨ લોકો માર્યા ગયા હતા. જોકે સૈન્ય શાસનના પ્રવક્તાએ નેપીતા ખાતે સુરક્ષા દળોની કાર્યવાહીનો બચાવ કર્યો હતો. સુરક્ષા દળોએ સપ્તાહમાં ત્રીજી વખત પ્રદર્શનકારીઓ પર ઘાતક બળપ્રયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓ સૈન્ય તખતા પલટના વિરોધની સાથે લોકશાહીના સમર્થક નેતા આંગ સાન સૂકીને મુક્ત કરવા માગણી કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ પરની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૬૧૪ લોકો માર્યા ગયા છે.
ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી કુલદીપ સિંહ સેનગરની પત્નીનું ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણીનું ઉમેદવારી બીજેપીએ ગઈ કાલે પાછી ખેંચી લીધી હતી. બીજેપીએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ પાર્ટીએ ફતેહપુર ચૌરાસીના વોર્ડ નંબર-૨૨માંથી જિલ્લા પંચાયતના સભ્યપદ માટે સંગીતા સેનગરની ઉમેદવારી ભરી હતી. રાજ્યના બીજેપી એકમના વડા સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે ૨૦૧૮ના ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી કુલદીપ સિંહ સેનગરના પત્ની સંગીતા સેનગરની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી છે અને ઉન્નાવના પક્ષ પ્રમુખને નવા ઉમેદવાર તરીકે ત્રણ નવા નામ સબમીટ કરવા જણાવાયું છે. તેમણે ૧૫ એપ્રિલથી શરૂ થતાં ચાર તબક્કાની પંચાયતી ચૂંટણીમાં બીજેપીની જીતની આશા વ્યક્ત કરી હતી. ઉન્નાવમાં ૨૬ એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. ઉન્નાવમાં ૧૭ વર્ષની યુવતીનો બળાત્કાર કરવા બદલ દિલ્હી કોર્ટે ૨૦૧૯ની ૨૦ ડિસેમ્બરે આજીવન કેદની સજા ફરમાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર વારાણસી શહેર હવે સંસ્કૃતિ સિટી તરીકે ઓળખાશે. દેશમાં સંસ્કૃતિની સૌથી વધુ સ્કૂલ ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે અને ભારતની આ પ્રાચીન ભાષા શીખતા સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ આ શહેરમાં છે. વારાણસીમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપતી કુલ ૧૧૦ સ્કૂલ આવેલી છે. યોગી આદિત્યનાથ સરકાર સંસ્કૃત ડિરેક્ટોરેટની સ્થાપના કરશે એને પગલે આ ભાષાને નવી ઓળખ મળશે.
કોરોનાની બીજી લહેર ભયાનક છે. દેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે, એની સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છેજો તમારામાં ઇમ્યુનિટી ઓછી છે તો બીજી વાર કોરોના સંક્રમિત થવાનો ભય રહેલો છે. દેશમાં ૪.૫ ટકા લોકો એટલે કે પાંચ લાખથી વધુ લોકો એકથી વધારે વાર સંક્રમિત થયા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઍન્ટિબૉડી લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી નથી. એને લીધે ફરી વાર કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહેલો છે. ૬૦ દિવસ બાદ તેમની ઍન્ટિબૉડી ધીમે-ધીમે ઓછી થતી જાય છે.
રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને જોતાં ઉત્તર પ્રદેશની સરકારે ધોરણ ૧થી ૧૨ સુધીની તમામ સ્કૂલોને આગામી ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. દરમ્યાન કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન અગાઉ નક્કી કરવામાં આવેલી પરીક્ષાઓ લઈ શકાશે. જરૂર પ્રમાણે શિક્ષકો તેમ જ અન્ય કર્મચારીઓને સ્કૂલમાં બોલાવી શકાશે. અગાઉ ધોરણ ૧થી ૮નાં બાળકોને પરીક્ષા વગર જ આગલા ધોરણમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સીબીએસઈ બોર્ડે મેમાં નિયત કરાયેલી બોર્ડની પરીક્ષાઓ યથાવત્ રાખવાનો પરિપત્ર જાહેર કર્યો ત્યાર બાદ કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે વાલીઓ મહામારીના સેકન્ડ વેવની વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર એકઠા થવા અંગે ભય અનુભવી રહ્યા છે, એમ છતાં સીબીએસઈએ પરીક્ષાઓ લેવાનો નિર્ણય લીધો છે તે ‘આંચકાજનક’ બાબત છે. તેમણે જણાવ્યું હતું કે વાલીઓનો ડર‘ગેરવાજબી’ નથી, આથી પરીક્ષાઓ રદ કરવી જોઈએ. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ‘ભીડભર્યાં પરીક્ષા કેન્દ્રો ખાતે તથા વ્યાપક ધોરણે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવી વ્યવહારુ દૃષ્ટિએ અશક્ય બની રહેશે. વધુમાં વાઇરસના સ્વરૂપ અને પ્રસારને જોતાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને પરિવારજનો પણ જોખમમાં મુકાશે, ઉપરાંત મહામારી દરમ્યાન બાળકોને પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવતાં જો કોઈ પરીક્ષા કેન્દ્ર હૉટ-સ્પૉટ પુરવાર થશે તો તે માટે સરકાર અને સીબીએસઈ બોર્ડ જવાબદાર ઠરશે.’
ચીનની કોરોના વૅક્સિનની અસરકારકતા 50.04 ટકા હોવાનું સંશોધનમાં માલૂમ પડ્યું છે.